અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ
સુરત, સોમવારઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાકાંઠા વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને કિશોરવયની યુવતીઓ તથા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. તેની સાથે રોજે ખોરાકમાં કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ જેથી ફરીથી બાળકોને કુપોષણથી બચાવી શકાય. આ કાર્યક્રમ માટે સંગીની બહેનોને તાલીમબદ્ધ કરી ગામડાઓમાં મોકલવામાં આવે છે જ્યાં ગામની આશાવર્કર, આંગણવાડીના બહેનો સાથે સંપર્ક કરી ફિલ્ડ મોબિલાઈઝેશન કરવામાં આવી રહ્યંય છે.
તાજેતરમાં આખા દેશમાં ઓગષ્ટના પ્રથમ અઠવાડિયામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારી વચ્ચે પૂરતી સાવધાની સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ધાત્રી અને સગર્ભા માતાઓને ઓડિયો-વિડીયો કોલના માધ્યમથી સ્તનપાનનું મહત્વ અને બાળકને જન્મથી છ મહિના સુધી સ્તનપાન કરાવવું જરૂરી શા માટે જરૂરી છે તે અંગે માહીતગાર કર્યા હતા.
બાળકના કુપોષણની સમસ્યાને દુર કરવા અને તંદુરસ્તી વધારવા માટે સ્તનપાન સૌથી વધુ કારગર ઉપાય છે તે બાબતે જરૂરી માહિતી આપવામાં આવી હતી. ગ્રામકક્ષાએ ઉજવાતા મમતા દિવસની ઉજવણીમાં સંગીનીઓ દ્વારા આ બાબતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી ખુબ જ સરળતાથી સમજાય તે રીતે તેનું મહત્વ સમજાવ્યું હતું અને કેટલીક જૂની પુરાણી માન્યતાઓને ત્યજીને આધુનિક સમયમાં કેવી રીતે આગળ વધવું જોઈએ તે બાબતે વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યસરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય તે માટે સંગીનીઓ દ્વારા જહેમત ઉપાડવામાં આવી હતી. તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ આયોજિત સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે અદાણી ફાઉન્ડેશનના એકતા બહેન સુરતીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.