મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ૬૫મો જન્મદિન : શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ
દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ – ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ટેલિફોનિક શુભેચ્છા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા
વધુ વેગવાન બને એવા આશિષ પાઠવતા મહંત સ્વામી
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ
ગાંધીનગર, ૦૨ ઓગસ્ટ ૨૦૨૦ કોમનમેન તરીકેની છાપ ધરાવતા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ૬૫માં જન્મદિવસના અવસરે દિવસની શરૂઆત પર્યાવરણના જતન માટે 71મા વન મહોત્સવના શુભારંભથી કરી હતી.
દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા વધુ વેગવાન બને એવા આશિષ પાઠવ્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ૬૫મા જન્મદિનની શુભકામનાઓ આપી હતી. રાષ્ટ્રપતિશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની જે નવી ઉંચાઈઓ પાર કરી રહ્યું છે તે માટે પણ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના લાંબા આયુષ્યની કામનાઓ વ્યક્ત કરી હતી.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી, જન્મ દિવસના અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને શ્રી વિજયભાઈ રૂપાણીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી હતી.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી શ્રી ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી તેમનુ આરોગ્ય નિરોગીમય રહે અને એમના નેતૃત્વમાં રાજયની વિકાસયાત્રા અવિરત રાખે એવી શુભકામનાઓ પાઠવી હતી
ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને જન્મદિનની શુભકામનાઓ આપી હતી અને તેમનું આરોગ્ય નિરોગી રહે, રાજયના નાગરિકોને જનહિતકારી લાભો અવિરત પણે આપતા રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા.
BAPS સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામીએ પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મ દિન નિમિતે ટેલિફોન કરીને શુભ આશિષ પાઠવ્યા હતા. પૂજ્ય મહંત સ્વામી એ ભગવાન સ્વામી નારાયણની અવિરત કૃપા-આશિષ શ્રી વિજય ભાઈ રૂપાણી પર વરસતા રહે, ગુજરાત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વધુ ને વધુ ઉન્નતિ કરે તેવી વાંછના પણ કરી હતી.
રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યક્રરો સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકોએ મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનિક વાત કરી શુભેચ્છાઓ આપીને ગુજરાત એમના નેતૃત્વમાં વધુ પ્રગતિ કરે એવા આશીર્વાદ પાઠવ્યા હતા.