હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ
- રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ
- “મારા થકી જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના મુક્ત થાય તો, એક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો મને આત્મસંતોષ મળે છે” -ડો.હર્ષિલ શાહ
- પ્રોન થેરાપી થકી દર્દીઓના ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવામાં નિભાવી અગત્યની ભૂમિકા
અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ
રાજકોટ, ૦૩ નવેમ્બર: કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમિતોમાં ઓકસીજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાંત તબીબો દ્વારા અનેક પ્રયોગ સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેવા જ પ્રયોગના ભાગરૂપે શરૂ કરાયેલી પ્રોન થેરાપીથી આજે કોરોના સંક્રમિત ઘણા દર્દીઓને રાહત મળવાની સાથે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી સમૂહમાં એક સાથે પ્રોન થેરાપીથી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ બન્નેમાં સમયાંતરે કાર્યરત ડો.હર્ષિલ શાહે હૃદયરોગ, પેરેલિસિસ, પાર્કિસન્સ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૨૫૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત બનાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.
મેડીસીન વિભાગમાં કાર્યરત ડો.હર્ષિલ શાહ પોતાની કામગીરી વિશે જણાવે છે કે” હું લોકડાઉનથી આજ દિન સુધી કાર્ય કરી રહ્યો છું, સમયાંતરે મને સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં ડ્યુટી સોંપવામાં આવે છે, જયારે પાર્કિસન્સ, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓને કોરોના થાય ત્યારે તે વધુ ભયભીત થઈ જાય છે, માટે અમે તેમના ગંભીર રોગને અનુલક્ષીને યોગ્ય દવા આપી પહેલા તો તેને નિયંત્રણમાં લાવીએ છીએ.ત્યારબાદ દર્દીઓને માનસિક હૂંફ પુરી પાડીએ છીએ. અહીં નકારાત્મકતા સાથે આવતા દર્દીઓને અમે સારવારની સાથે કાઉન્સેલિંગ કરી તેઓ ઝડપથી સાજા થાય તે માટેના તમામ પ્રયાસો કરીએ છીએ. અમારી એવી જ ભાવના હોય છે કે, અહીં આવેલા પ્રત્યેક દર્દી ઝડપથી સાજા થઈને સુખરૂપ તેમના ઘરે જાય. મૂળ તો હું દર્દીઓના આહાર અને વિહાર અંગે યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરી અને દવાઓના નિયમીત ઉપચાર સાથે તેના ડરને દૂર કરવાનો પ્રયત્ન કરું છું,, તેમાંય જે દર્દીઓને વધારે ઓક્સીજન આપવાની જરૂરિયાત હતી તેવા દર્દીઓને પ્રોન થેરાપીથી સારવાર આપવાથી આશરે છેલ્લાં પાંચ દિવસમાં ૧૦૦ જેટલા દર્દીઓને રજા આપી શક્યા છીએ. અને માસ પ્રોનિંગ થેરાપી આપવાથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપભેર સુધારો થઈ રહ્યો છે. દર્દીઓ સીધા સુવાની જગ્યાએ બેઠા રહે, પડખાભેર સુવે, ઉંધા સુવે તો દર્દીઓના જે ફેંફસા જ ઝકડાય ગયા છે તે ઝડપથી ખૂલી જાય છે. મને દર્દીઓની આ પ્રકારે સેવા કરવાથી મારું જીવન સાર્થક થયાની અનુભૂતિ થાય છે. મારા થકી જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના મુક્ત થાય તો, એક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો મને આત્મસંતોષ મળે છે”
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના કાર્યકાળ દરમિયાન ડો.હર્ષિલે ૨૫૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત બનાવવામાં અને પ્રોન થેરાપી થકી દર્દીઓના ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી અદા કરી છે.
- ચલાલા ખાતે ૯૫ વર્ષીય દિવાળીબેન અને ૯૭ વર્ષીય લાલજીભાઈ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.
- ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું
- ભાવનગર-આસનસોલ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ