સ.સં. ૧૫૦૪ પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ 5

રાજકોટ જિલ્લાના લોધિકામાં ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ

ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી અને ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયાની પ્રેરક ઉપસ્થિતિ

અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ

રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ ગાંધીનગર ખાતેથી વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારે અનેક કલ્યાણકરી યોજનાઓ અમલી બનાવી છે. જેના થકી કૃષિ ક્ષેત્રે અનેક નવા આયામો ઉભા કરાયા છે. ખેડૂતોના હિત માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી માલ પરીવહન, ગોડાઉન બનાવવા માટે સહાય, પ્રાકૃતિક ખેતી સહાય- કીટ, વીજ સહાય, સિંચાઇ સહાય વગેરે તેના ઉદાહરણ છે. તેમ શ્રી ભંડેરીએ જણાવ્યું હતું.

loading…

ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ ખેડુતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. તેમ જણાવ્યું હતુ પૂર્વ વાઇસ ચાન્સેલરશ્રી મહેન્દ્ર પાડલિયાએ રાસાયણીક ખાતરથી થતાં નુકશાન અને સજીવ ખેતીના ફાયદાઓ વિશે જણાવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લોધિકામાં ૮ ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય (એક ગાય દીઠ રૂ. ૯૦૦) અને ૬ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ બેસ્ટ આત્મા  ફાર્મરના રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતા ૧૨ ખેડૂતોનુ પણ ચેક અર્પણ કરી સન્માન કરાયુ હતું. આ પ્રસંગે નાયબ ખેતી નિયામકશ્રી આગઠેએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણવસિયા, અગ્રણીશ્રી ભરતસિંહ, શ્રી મનસુખભાઇ સરધારા સહિતના મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા