Corona mukt: નાનકડું ઉરદ આપે છે કોરોના મુક્ત આરોગ્ય જાળવણીનો સંદેશ…
Corona mukt: કરજણ તાલુકાના એક હજારથી વધુ વસતિ ધરાવતા ઉરદ ગામમાં કોરોના પ્રવેશતા હાંફી ગયો
- Corona mukt: કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગામમાં એક પણ કેસ થયો નથી
અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૬ મે: Corona mukt: સમગ્ર ગુજરાત એકઝુટ થઈને વૈશ્વિક કોરોના મહામારી સામે લડી રહ્યું છે.એમાં ગ્રામીણ જનશક્તિનો પ્રશસ્ય સહયોગ સાંપડી રહ્યો છે.આજે આપણે એવા ગામની વાત કરવી છે કે જ્યાં કોરનાની બીજી ઘાતક લહેરમાં આ ગામમાં છેલ્લા એક માસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ શક્ય બન્યું છે ગ્રામજનોની સતર્કતાને પરિણામે..ગ્રામજનોએ કોરોના ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કર્યું જેને પરિણામે કોરોના વાયરસ આ ગામ સુધી પ્રવેશતા પ્રવેશતા હાંફી ગયો.
આ વાત છે કરજણ તાલુકાના માત્ર ૧૦૭૩ ની જનસંખ્યા ધરાવતા ઉરદ ગામની.પ્રથમ દૃષ્ટિએ તો આ ગામની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ગામના સતર્ક સરપંચ પ્રશાંતભાઈ પટેલ અને તેમની ટીમે કોરોનાની બીજી ખતરનાક લહેરમાંથી ગામને બચાવી મારું ગામ કોરોના મુક્ત ગામ (Corona mukt) અભિયાનને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે. કોરોનાના બીજા મોજામાં ગામડાઓ પણ સંક્રમણ વઘ્યું પરંતુ ઉરદ ગામ કેવી રીતે કોરોના સંક્રમણથી બાકાત રહ્યું તે અંગે સરપંચ પ્રશાંતભાઈ પટેલ કહે છે કે ગ્રામજનોની સતર્કતા અને સરકારના નિર્દેશોનું સખ્ત પાલન થવાથી ગામમાં કોરોનાનો પગપેસારો થયો નથી.
ગ્રામજનો પણ ગામને કોરોનાથી મુક્ત રાખવા માસ્ક,સામાજિક દુરી, વારંવાર હાથ ધોવા જેવા નિયમોનું અસરકારક પાલન કરે છે.જેને કારણે કોરોનાની બીજી લહેરમાં અમારા ગામ કોરોના મુક્ત રહ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર ગામને સાત વાર સેનેટાઇઝ કરવા સાથે પીવાના પાણીની ટાંકીની સફાઈ વારંવાર કરવામાં આવે છે લોકો કોઈ બીમારીનો ભોગ ન બને. ગામને કોરોના મુક્ત રાખવામાં શિક્ષકો,આશા વર્કર, આંગણવાડી કાર્યકરનો મહત્વનો ફાળો રહ્યો છે.ગામમાં પ્રાથમિક શાળામાં સામુહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે પણ ત્યાં હાલમાં કોઇ દર્દી નથી.
કરજણ તાલુકાના ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અમલદાર ડો.પ્રશાંતસિંહે જણાવ્યું કે ઉરદ ગામમાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં છેલ્લા એક માસ દરમ્યાન એક પણ કેસ નોંધાયો નથી.પ્રથમ લહેરમાં ગામમાં બે કેસ નોંધાયા હતા જેઓ હાલમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.ગ્રામજનોની જાગૃતિને કારણે ગામમાં ૭૫ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઈ છે.ગામમાં ૧૩૫ રેપિડ એન્ટીજન અને ૩૦ આર. ટી.પી.સી.આર સહિત ૧૬૫ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયેલ નથી.કોરોના મહામારીથી બચવા લોકો સ્વયં નિર્ધારિત પ્રોટોકોલ જાળવે તો કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય (Corona mukt) છે. જે ઉરદના ગ્રામજનોએ સાચે જ સાર્થક કર્યું છે.કરજણ તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં સાધન સામગ્રી કે દવાની કોઈ કમી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
ગ્રામજન અજયકુમાર પુરોહિત કહે છે કે સરપંચ ગામને નિરોગી રાખવા માટે લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે.સરકાર તરફથી પણ જરૂરી તમામ સહયોગ મળી રહ્યો છે. આશા વર્કર લતાબેન જણાવે છે કે ગામ સ્વચ્છ અને નિરોગી રહે તે માટે દરરોજ ૪૦ ઘરનો સર્વે કરવામાં આવે છે.ઘરે ઘરે ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવે છે.તાવના દર્દીઓ જણાય તો સ્લાઇડ લઈ જરૂરી દવાઓ આપવામાં આવે છે.ગામ લોકો પણ પોતાના આરોગ્ય બાબતે ખૂબ જ સચેત અને જાગૃત છે. નાનકડા ઉરદ ગામની જનશકિતએ પોતાની સામુહિક શક્તિથી કોરોનાને ગામવટો આપી અન્ય ગામોને નવી દિશા ચીંધી છે.