Plasma doner surat edited

૨૧ વર્ષની નાની વયે પ્લાઝમા ડોનેટ કરી યુવાઓની પ્રેરણાસ્ત્રોત બની જાનકી કળથીયા

Plasma doner surat edited
  • સુરત ખાતે સ્મીમેરની પ્રથમ અને સૂરતની ત્રીજી મહિલા ડોનર બની
  • કોરોનાના અજ્ઞાત લક્ષણો ધરાવતાં લોકો પણ સ્વસ્થ થઈ શરીરમાં એન્ટીબોડીના આધારે પ્લાઝમા ડોનેટ કરી શકે છે.: જાનકી કળથીયા
  • સૂરતમાં ૬૯૦ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છેઃ જે પૈકી ૧૧૫૪ ઈસ્યુ કર્યા છેઃ

સૂરતઃગુરૂવાર:- દાતાઓની ભૂમિ સૂરતમાં કોરોના સામેના જંગમાં લડવા માટે સેંકડો પ્લાઝમા ડોનરો આગળ આવી રહયા છે. જેમાં સુરતની ૨૧ વર્ષીય દિકરી જાનકી કળથીયા સૌથી નાની વયની યુવા મહિલા પ્લાઝમા ડોનર બની છે. અત્યાર સુધી સૂરતમાં કુલ ૬૯૦ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે જેમાં જાનકી કળથીયાએ ત્રીજા નંબરની મહિલા ડોનર બની છે. અગાઉ સિવિલ હોસ્પિટલમાં ૨૭ વર્ષીય ડો.શ્વેતા કુમાર અને ૨૮ વર્ષીય શૈલી મહેતાએ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા.
રાજ્યમાં સૌથી વધુ પ્લાઝમા દાન કરવામાં સુરતીઓ અગ્રેસર છે. આ સિદ્ધિરૂપ યશકલગીમાં જાનકી કળથીયાએ વધુ એક છોગું ઉમેર્યું છે. સમાજ તથા અન્ય યુવા મહિલાને ડોનેટ કરવાની પ્રેરણા પુરી પાડી જાનકી અઠવાલાઈન્સ સ્થિત બી.આર.સી.એમ. કોલેજમાં બી.બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ૧૫ દિવસ બાદ બીજી વાર પ્લાઝમા ડોનેટ કરવાનો પણ તેણે સંકલ્પ કર્યો છે.


મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ વેડ રોડ સ્થિત કેન્સર હોસ્પિટલ પાસે ન્યાલકરણ સોસાયટીમાં રહેતાં જાનકી અશ્વિનભાઈ કળથીયાને પ્લાઝમા દાન માટે તેના મામા મહેશભાઈ ચમારડીએ પ્રેરણા આપી હતી. આ અંગે મહેશભાઈએ કહ્યું કે, તાજેતરમાં મારા મિત્ર દર્શનભાઈ સલીયાએ મને એન્ટી બોડી ટેસ્ટ અંગે વિગતો આપીને કોરોનાના સામાન્ય લક્ષણો હોય અને સ્વસ્થ થયા બાદ આ ટેસ્ટ કરવાથી આપણે કોરોના સંક્રમિત થયાં હતા કે નહીં, તેમજ શરીરમાં એન્ટીબોડીની હાજરી અંગે ખ્યાલ આવી જાય છે. જો શરીરમાં એન્ટીબોડી બન્યું હોય તો કોરોનાનું ઇન્ફેકશન લાગ્યું હોવાનું સ્પષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ પ્લાઝમા પણ ડોનેટ કરી શકે છે. જેથી મેં મારી ભાણેજ જાનકીનો ખાનગી લેબમાં એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એન્ટીબોડી હોવાનું માલૂમ પડ્યું હતું. જાનકી પ્લાઝમા ડોનેટ કરવાં ઉત્સાહી હોવાથી અમે સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંકમાં જઈ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્મીમેરની પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહ અને સ્ટાફ દ્વારા અમને સંપૂર્ણ સહયોગ આપી મદદરૂપ બન્યા હતા.

Plasma doner surat 2


જાનકીએ જણાવ્યું હતું કે, ‘તા.૮ જુલાઈએ મને તાવ, શરદી, ઉધરસ જેવાં લક્ષણો જણાયા હતાં. જેથી પડોશમાં રહેતાં જાણીતા ડો.સમીર ગામીની સલાહ મુજબ સિટી સ્કેન કરાવ્યું હતું. પરંતુ સિટી સ્કેનમાં કોરોનાના લક્ષણો હોવાનું સ્પષ્ટ થયું ન હતું. જેથી ડો. સમીર ગામીએ તકેદારીના ભાગરૂપે પાંચ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવાં જણાવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ હું સ્વસ્થ થઈ ગઈ હતી. પ્રથમ ખાનગી લેબમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવી ત્યારબાદ પ્લાઝમા ડોનેટ કરવા જ્યારે સ્મીમેરમાં આવી ત્યારે સ્મીમેરની બ્લડ બેંકમાં પણ મારો એન્ટીબોડી ટેસ્ટ કરાયો હતો. જેમાં કોન્વેલેસન્ટ પ્લાઝમાનું પ્રમાણ હોવાથી મેં તા.૧૯મી ઓગસ્ટના રોજ પ્લાઝમાં ડોનેટ કર્યું છે. મારા જેવા કોરોનાના અજ્ઞાત લક્ષણો ધરાવતાં લોકો પણ સ્વસ્થ થઈ શરીરમાં એન્ટીબોડીના આધારે પ્લાઝમા ડોનેટ કરી, કોરોના સામેની લડાઈમાં યોગદાન આપી શકીએ છીએ. મને ગર્વ છે કે હું પણ બે દર્દીઓના જીવન બચાવવામાં સહભાગી થઈ શકીશ એમ જાનકીએ ઉત્સાહી સ્વરે જણાવ્યું હતું.


સુરતનું યુવાધન પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા જાગૃત્ત બન્યું છે, કોરોના સંક્રમિત થયેલા યુવાનોમાં પણ પ્લાઝમા દાન કરવાની જાગૃત્તિ આવી છે. જેમાં જાનકી કળથીયા જેવી વિદ્યાર્થિનીએ કોરોના દર્દીઓની સારવારની ખેવના માટે પ્લાઝમા દાનનું સરાહનીય કદમ ઉઠાવી રાજ્યના અને દેશના યુવાનોને પ્રેરિત કર્યા છે.

સુરતમાં ૬૯૦ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યાઃ

(૧) સ્મીમેર હોસ્પિટલમાં ૩૯૪ વ્યકિતઓએ ડોનેટ કર્યા ૫૬૧ ઈસ્યુ કર્યાઃ
(૨) સિવિલ હોસ્પિટલમાં ૧૭૦ વ્યકિતઓએ ડોનેટ કર્યા ૩૫૪ ઈસ્યુ કર્યા
(૩) લોક સમર્પણ રકતદાન કેન્દ્રમાં ૧૧૦ વ્યકિતઓએ ડોનેટ કર્યા ૨૧૦ ઈસ્યુ
(૪) સુરત રકતદાન કેન્દ્રમાં ૧૬ ડોનેટ ૨૯ ઈસ્યુઃ