અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા શિક્ષકો માટે ‘ક્ષમતા સંવર્ધન તાલીમ કાર્યક્રમ’ યોજાયો
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૨૫ જાન્યુઆરી: આજના સમયમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો અનુબંધ, આત્મવિશ્વાસ, અવલોકનશક્તિ, સહજપણું, ઉત્તમચારિત્ર્ય, સ્વમૂલ્યાંકન, અંતરનિરીક્ષણ, સંવેદનશીલતા જેવા ગુણો કેળવાઈ રહે તે અત્યંત મહત્વનું છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને શિક્ષણ સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે તા.૧૯ થી ૨૧મી જાન્યુ.દરમિયાન કર્મચારી શિક્ષકો માટે ‘ક્ષમતા સંવર્ધન તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો.
શિક્ષક પોતાની ભીતર રહેલી શક્તિઓને ઓળખીને વિદ્યાર્થીઓના હૃદયના દરવાજા સુધી પહોંચવાની વિવિધકળા ઓળખી શકે, નવીનીકરણ લાવી શકે છે. તેમજ શિક્ષકની ભૂમિકા એક કોચ તરીકે વિદ્યાર્થીઓમાં ઉત્તમ ગુણ આપનાર, બાળકમાં રહેલી વિશિષ્ટતા અને વર્તનનો અભ્યાસ કરી તેનું અનુમાન કરી શકે તે અંગેની વિસ્તૃત સમજ તાલીમમાં આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં અપેક્ષિત આજ્ઞાપાલન, અનુકરણ, અનુસરણ, અનુશાસન જેવા શૈક્ષણિક પાસાંઓનું ફિલ્મીગીતો, સિનેમા, વિડીયોક્લીપ, ઉદાહરણ અને અલગ-અલગ પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં વિદ્યાર્થીઓમાં રસ, રૂચિ ઉત્પન્ન કરવા, બાળકોમાં રહેલી સુષુપ્તશક્તિઓને બહાર લાવવા માટે અધ્યાપન પદ્ધતિઓની રજૂઆત થઇ, સાથોસાથ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નાવલિ તૈયાર કરી તેનું મુલ્યાંકન કરી નિર્ણય માટેની સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં બાળકોના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વલણોની સ્પષ્ટતા, ટ્રી ઓફ લાઈફ દ્વારા ભૂતકાળને વર્તમાનમાં લાવી ભવિષ્યની યોજના માટેનું ઘડતર તેમજ અભિવ્યક્તિની કોઈપણ બાબતમાં પક્રિયાનું મહત્વ જેવા તમામ પાસાઓની ઊંડી સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દીપકભાઈ તેરૈયા અને ઉમાબેન તેરૈયાના માર્ગદર્શન હેઠળ થયો હતો. જેમાં નવચેતન અદાણી વિદ્યાલયના શિક્ષકો તેમજ ઉત્થાન સહાયકો જોડાયા હતા.