સુરતમાં ‘કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૨૦૦૯ કોરોનાગ્રસ્તોએ કોરોનાને મ્હાત આપી
આંશિક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે આઈસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદરૂપ
અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૦૮ સપ્ટેમ્બર: નર્મદનગરી સુરત શહેરમાં સેવાભાવી દાતાઓ અને વિવિધ સમાજોના સહયોગથી ભારતમાં પહેલીવાર સુરતમાં કોમ્યુનિટી બેઈઝડ કોવિડ કેર આઈસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાના આંશિક લક્ષણો ધરાવતા તથા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે વિવિધ ટ્રસ્ટો અને સમાજો દ્વારા શરૂ કરવામાં આવેલા સેન્ટરોમાં દર્દીઓને ઘર જેવું વાતાવરણ તથા ખાવા-પીવા સહિતની જરૂરી સુવિધા સાથે શહેરમાં ૨૦ સેન્ટરો કાર્યરત છે.
ખાસ ફરજ પરના અધિકારી નિવૃત આઈ.એ.એસ.શ્રી આર.જે.માંકડિયાની દેખરેખ હેઠળ કાર્યરત સેન્ટરોમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓને દવા, પૌષ્ટિક ભોજન, ડોકટરની સુવિધા સાથે વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવી રહી છે.
વધુ વિગતો આપતા શ્રી માંકડિયા જણાવે છે કે, હાલમાં ૨૦ સમાજોના સેન્ટરોમાં કુલ ૧૪૫૯ બેડ પૈકી ૨૫૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જયારે ૧૨૦૭ બેડ ખાલી છે. અત્યાર સુધીમાં સેન્ટરોમાં સારવાર મેળવી, ૨૦૦૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સેન્ટરમાં કોઈ કુટુંબો કોરોનાગ્રસ્ત દર્દી પોતાના ઘરે આઈસોલેશન થઈ શકતા ન હોય તેવા અનેક કોરોના દર્દીઓને ઘર જેવું વાતાવરણ પુરૂ પાડી માનવીય સંવેદનાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.
આ સુવિધા અંતર્ગત સૌથી વધુ અટલ સંવેદના સેન્ટરમાંથી ૭૫૩, રાંદેરના જૈન સમાજમાંથી ૨૯૪, અગ્રવાલ સમાજના સેવા ફાઉન્ડેશનમાંથી ૨૧૨, બોટાવાલા આઈસોલેશન સેન્ટરમાંથી ૧૬૮, ભાઠેના કોવિડ કેર સેન્ટરમાંથી ૧૨૨, નવકાર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ૧૨૫, રાણા સમાજમાંથી ૪૧, આહિર સમાજમાંથી ૩૬, વાટલીયા પ્રજાપતિ સમાજમાંથી ૪૦, પાટીદાર સમાજમાંથી ૩૫ દર્દીઓ તથા અન્ય સમાજ મળી કુલ ૨૦૦૯ જેટલા દર્દીઓએ સમાજના સેન્ટરોનો લાભ લઈને કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા છે. આમ, સુરત ખાતે કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોના સામેના જંગમાં સમાજના સામૂહિક પ્રયાસો થકી ઉમદા કાર્ય થઈ રહ્યું છે