WhatsApp Image 2020 09 08 at 5.06.18 PM 1

Index 2 ની નકલ ઓનલાઈન ઉપલબ્ધ- મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો જનહિત લક્ષી નિર્ણય


‍¤ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) તથા Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ ઓનલાઈન ઉપલબ્ધ- મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

WhatsApp Image 2020 09 08 at 5.06.18 PM 1

અહેવાલ:દિલીપ ગજજર,સહાયક માહિતી નિયામક ગાંધીનગર

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓના અમલ થકી રાજયનું મહેસૂલ વ્યવસ્થાપન પારદર્શક, સરળ, ઝડપી અને સંવેદનશીલ બન્યું છે. રાજયમાં ડિઝિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રીયા હાથ ધરવામાં મહેસૂલ વિભાગ અગ્રેસર રહ્યું છે. જેના કારણે મહેસૂલ વિભાગ દ્વારા ટૂંકા સમયગાળામાં ૨૩ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગમાં વધુને વધુ પ્રજાલક્ષી સુધારાઓ અને મહેસૂલી સેવાઓ વધુ સરળ બનાવવાના ભાગરૂપે વધુ 3 (ત્રણ) મહેસૂલી સેવાઓ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર તથા સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) તથા વેચાણ દસ્તાવેજની Index 2 (અનુક્રમણિકા નં 2) ની નકલની સેવાઓ હવેથી ઓનલાઈન કરવામાં આવેલ છે.

મંત્રીશ્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને લાભદાયી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની ઓનલાઈન પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે. તેમજ જમીનની શરતફેર, બિનખેતી જેવી વિવિધ પ્રકારની પરવાનગી માટેની અરજીઓ સાથે જરૂર જણાયે ખેડૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે. હાલમાં, ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે જે તાલુકાના મૂળ ખેડૂત ખાતેદાર હોય તે મામલતદારને જરૂરી વિગત સહ લેખિતમાં અરજી કરવાની હોય છે અને મામલતદારશ્રી અરજીની વિગતો તેમજ રેવન્યુ રેકર્ડથી ચકાસણી કરી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવામાં આવે છે.

હવે, આ સેવા ઓનલાઈન થવાથી અરજદારે જરૂરી વિગત સહ ઓનલાઈન અરજી કરી પછી સહી વાળી અરજી, નિયત કરેલ સોગંદનામું તથા ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે. ખાતેદારે અસલ અરજી, સોગંદનામું અને અપલોડ કરેલ પુરાવા અરજી તારીખથી દિન-7માં સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના/મોકલવાના રહેશે. જ્યારે અરજી સાથે ગામ નમૂના નં. 6, 7/12, 8-અ જેવા કોઈ દસ્તાવેજો અપલોડ કરવાના નથી. પ્રાંત અધિકારી 15 દિવસમાં નિર્ણય કરી મંજુરીના કિસ્સામાં ઓનલાઈન પ્રમાણપત્ર ઈસ્યુ કરશે તેમજ સહી/સિક્કાવાળી નકલ પણ ઈસ્યુ કરશે. અરજદારને નિર્ણયની જાણ ઈ-મેઈલ/SMSથી કરવામાં આવશે. અરજી દફતરેના કિસ્સામાં કારણો સાથે લેખિત પત્રથી અરજદારને જાણ કરવામાં આવશે. ખોટુ સોગંદનામું કરવા બદલ સંબંધકર્તા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આમ, અરજદાર કોઈ પણ જગ્યાએથી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી શકશે અને થયેલ નિર્ણયની જાણ પણ સમયમર્યાદામાં ઘરે બેઠા ઈ-મેઈલ/SMSથી થશે. ઓનલાઈન થવાને કારણે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે ખાતેદારને રૂબરૂ કચેરીમાં જવામાંથી મુક્તિ મળશે અને સમય અને નાણાંની બચત થશે. પારદર્શિતા અને સરળતા આવશે.

Banner Ad Space 03

શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી થયેલ દસ્તાવેજોની અનુક્રમણિકા તૈયાર કરવામાં આવે છે. રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી મિલકતના ખરીદ-વેચાણના કામે, બેંકમાંથી લોન લેવાના હેતુ માટે, મોર્ગેજના દસ્તાવેજ કરવા માટે, ટાઈટલ ક્લિયરન્સના સર્ટીફિકેટ જેવી વિવિધ કામગીરી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી રેકર્ડ શોધ (સર્ચ) કરીને ટાઈટલ કલીયરન્સના હેતુ માટે Encumbrance Certificate (બોજા પ્રમાણપત્ર) મેળવવાનું થાય છે. તે જ રીતે Index 2 (અનુક્રમણિકા નં 2) ની નકલ પણ ઉપરોક્ત કામ અર્થે મેળવવાની થાય છે.

હાલ ઓનલાઈન ઈ-પેમેન્ટ કરી ઈ-ચલણ સાથે જે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને બોજા પ્રમાણપત્ર અને Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ મેળવવાની પદ્ધતિ અમલમાં છે. હવેથી, રાજય સરકારના આ ઓનલાઈન કરવાના પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી કોઈ પણ વ્યક્તિ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરીને https://iora.gujarat.gov.in “i-ORA” પોર્ટલ પરથી જરૂરી ડેટા એન્ટ્રી કરી બોજા પ્રમાણપત્ર અને Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ મેળવી શકશે.

આ વ્યવસ્થાથી પક્ષકારોને કે વકીલશ્રીઓને રૂબરૂમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવું નહીં પડે જેથી તેમના સમય અને નાણાંનો બચાવ થશે અને રાજ્ય સરકારની આ સુવિધાનો સરળતાથી લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતુ.