છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા રામ મંદિર ભૂમિપૂજન ના ભવ્ય ઉજવણી કરાઈ
અયોધ્યાના રામ મંદિરના ભૂમિપૂજન ના કાર્યક્રમને લઇને છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ
શહેરના પંચેશ્વર ટાવર ચોક ની મધ્યમાં વાજતે ગાજતે સવા પાંચ ફૂટ ની ધજા ચડાવાઇ: રામ ભક્તો દ્વારા રામદૂત હનુમાનજી મંદિરમાં મહાઆરતી કરાઈ
રિપોર્ટ: જગત રાવલ
જામનગર,૦૫ ઓગસ્ટ:કરોડો હિન્દુઓ ની આસ્થા સ્વરુપ અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ સ્થાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, અને સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી ઊઠી છે, ત્યારે છોટીકાશી જામનગર શહેરમાં પણ રામ જન્મ સ્થાન પર થનાર ભૂમિપૂજન ના કાર્યક્રમ ની ઉજવણી ના ભાગરૂપે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે, જેના ભાગરૂપે મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પણ આજે વિશેષ ઉજવણી કરવામા આવી હતી.
જામનગરના પંચેશ્વર ટાવર ચોક ની મધ્યમાં આવેલા ધ્વજ સ્તંભ પર આજે સવારે ૧૧ વાગ્યે ઢોલ નગારા ના તાલે વાજતે ગાજતે સવા પાંચ ફૂટ ની ભગવા ધજા ચડાવવામાં આવી હતી.
મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી રાજુભાઇ વ્યાસ (મહાદેવ) અને મહાદેવહર મિત્ર મંડળના અન્ય કાર્યકરો તથા અન્ય તરવરીયા યુવાનો દ્વારા આજે ‘જયશ્રી રામ’ ના નારા સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય ભગવા ધ્વજ સાથે સમગ્ર પંચેશ્વર ટાવર ને કેસરિયો માહોલ બનાવી દેવામાં આવ્યો હતો.
ત્યાર પછી શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. જ્યાં પણ અનેક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા, તેમજ સૌ ભક્તજનોને રાજુભાઇ મહાદેવ અને અન્ય કાર્યકરો દ્વારા પ્રસાદનું વિતરણ કરવામા આવ્યું હતું.