મેડીકલ સ્ટોરના સંચાલક ના આત્મહત્યાના પ્રકરણમાં મૃતકે લખેલી બે પાનાની સુસાઇડ નોટ કબજે
બે જમીનના ધંધાર્થી ઓ ના ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે કે કેમ? તે દિશામાં તપાસનો ધમધમાટ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૦ ઓક્ટોબર: જામનગરમાં રણજીત રોડ પર મેડિકલ સ્ટોર ચલાવતા તેમજ ખોડીયાર કોલોની વિસ્તારના એન.આર.આઈ બંગલામાં રહેતા મેડીકલ સ્ટોરના સંચાલકે આત્મહત્યા કરી લીધા પછી તેના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પોલીસને સંબોધીને કેટલીક વાતો લખી છે. અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા બે બિલ્ડરો ની ધાકધમકી અને ત્રાસના કારણે આ પગલું ભર્યુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.
જામનગરના મેડિકલ સ્ટોર સંચાલક હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના વેપારીએ ગઇરાત્રે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધા પછી તેના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. જે સુસાઇડ નોટમાં કનુભાઈ અને રમણભાઈ નામના બે જમીન-મકાનના વ્યવસાયકારોના નામ અને મોબાઈલ નંબર લખેલા છે.
જેઓ દ્વારા હેરાન કરાતા હોવાનો તેમજ પોતાના પરિવારને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત સુસાઇડ નોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૃતક ને પોતાના મોટા પુત્ર હર્ષ ને ડોક્ટર બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી, સાથે નાના ભાઈ હિત નું ધ્યાન રાખવાનું પણ પોતાની પત્ની નયનાબેન ને સંબોધીને લખ્યું હતું. ઉપરાંત એલઆઇસીની પોલિસી અને લોન ભરપાઈ કરવાની પણ પત્નીને ભલામણ કરી હતી. પોલીસ દ્વારા હાલ આ ચિઠ્ઠી કબજે કરી લઇ ઉપરોક્ત નામ વાળા વ્યક્તિઓ કનુભાઈ અને રમણભાઈ ના નિવેદન નોંધી આ પ્રકરણમાં સત્ય શું છે, તે જાણવા માટે મથામણ શરૂ કરી છે. જામનગરના દવાના વેપારીઓમાં આ બનાવને લઇને ભારે ચર્ચા જાગી છે.