એક જ પરિવારના ત્રણ સભ્યો કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સેવા કરી રહ્યા છે
આ છે ખરા કોરોના ફાઈટર:નિકુમ દંપતિના દિકરા-દિકરી માતા-પિતાના સહારે
સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા બહેન હેમલતાબેન કોરોના સંક્રમિત થવાથી સારવાર હેઠળ:તેઓ કહે છે:સ્વસ્થ થઈને પુનઃ ફરજ પર જોડાશે
મનોજ નિકુમ
હેમલતા નિકુમ
પ્રિયંકા નિકુમ
કોરોના દર્દીઓની સેવા કરવી અમારી પ્રાથમિક ફરજ છે: નર્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નિકુમ
સુરત:શુક્રવાર: સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના પ્રારંભથી રજા લીધા વિના કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી, સેવા સાથે સંવેદનાના ઇશ્વરીય કાર્યમાં જોતરાય અન્યો માટે પ્રેરકબળ બન્યા છે. પરિવારની મહિલા સભ્ય કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં કોરોના સંક્રમિત થયા હોવાથી સારવાર હેઠળ છે. ‘સ્વસ્થ થઈને પુનઃ કોરોના દર્દીઓનો સેવામાં જોડાઇને મારૂ કર્તવ્ય નિભાવીશ’ એવું સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા હેમલતાબેન નિષ્ઠા અને વિશ્વાસ સાથે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યાં છે.
આ વાત છે પરિવાર પહેલા ફરજને પ્રાધાન્ય આપતા અને કોરોના મહામારી વચ્ચે સમાજને દિશા ચીંધતા સ્મીમેરમાં નર્સ સુપરીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં શ્રી મનોજભાઈ નિકુમની.. મુળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને છેલ્લાં ૧૨ વર્ષથી સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં પરિવાર સાથે રહે છે. મનોજ નિકુમના પત્ની અને બહેન પણ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ નર્સ તરીકે ફરજ બજાવે છે. નિકુમ દંપતિને ચાર વર્ષની દિકરી અને છ મહિનાના દિકરાને માતા-પિતા પાસે મૂકી ફરજ નિભાવે છે.
મનોજ નિકુમ જણાવે છે કે, કોરોનાના પ્રારંભથી અમે પતિ પત્ની સ્મીમેરમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છીએ. પરિવારનું પોષણ કરવું એ નૈતિક ધર્મ છે, પરંતુ કોરોનાગ્રસ્તોની સેવા કરવી એ અમારી પ્રાથમિક ફરજ છે. મારી બહેન હેમલતા યશવંતરાવ નવી સિવિલમાં સ્ટાફ નર્સ તરીકેની ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થવાથી હાલ નવી સિવિલમાં સારવાર હેઠળ છે. સારવાર બાદ તેમનો છેલ્લો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી તેમને હજું પણ સારવાર હેઠળ રહેવું પડશે. બહેનને ફોન કરૂ ત્યારે કહે છે કે, ‘હું જલ્દી જ સ્વસ્થ થઈ જઈશ અને ફરીવાર કોવિડ વોર્ડમાં ફરજ પર હાજર થઈ જઈશ.’ મને ગર્વ છે કે બહેન કોરોનાગ્રસ્ત બન્યાં છતાં હિંમત હારી નથી.
મનોજભાઈ વધુમાં જણાવે છે કે, બાળકો અને માતા-પિતાની સલામતી માટે ફરજ પરથી સાંજે ઘરે આવ્યાં બાદ અમે પૂરતી કાળજી અને સાવચેતી રાખીએ છીએ. મારા ૬૫ વર્ષિય માતા-પિતા અને બાળકો સાથે સલામત અંતર રાખીને વાતચીત કરીએ છીએ. માતા પિતા પણ બાળકોની દેખભાળ કરીને અમને દર્દીઓની સેવા માટે પૂરો સહકાર અને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ પણ અમને બાળકોની ચિંતા ન કરવાનું જણાવી સૌ પહેલા ફરજને મહત્વ આપવાનું કહે છે.
મનોજભાઇના પત્નિ પ્રિયંકાબેન સ્મીમેરમાં સ્ટાફ નર્સ છે. તેઓ કહે છે કે, બાળકોને નજીકથી મળતા પણ નથી. પુરતી કાળજી રાખી છ મહિનાના બાળકને ખોળામાં લઈ દુગ્ધપાન કરાવવું પડે છે. હાલ પરિવાર કરતાં દર્દીઓને અમારી વધુ જરૂર હોય છે. જેથી ફરજને પ્રાથમિકતા આપવી એ હાલના વિકટ સમયમાં ખુબ જરૂરી છે.
આવા અનેક કોરોના વોરિયર્સો રાત-દિવસ પરિવારની પરવા કર્યા વગર કોરોના દર્દીઓની સેવામાં જોડાઇને સેવાધર્મ સાથે માનવતાના ધર્મને જોડયો છે.