હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું
સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ
- આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ
- રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ
- કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના રત્નકલાકાર ભાઈઓની માનવીય પહેલઃ
- ૫૧૪ સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલઃ
રિપોર્ટ:પરેશ ટાપણીયા
સૂરતઃગુરૂવાર:- દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે. પુર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સૂરત ફરી પાછુ બેઠું થઈ તેજ રફતારથી દોડતુ થયું છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ જ્યારે સૂરતમાં પગ જમાવ્યો છે, ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. સૂરતની નામાંકિત યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધ્યો છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવી ‘ખરા હીરા’ બન્યા છે.
રકતદાન હોય કે અંગદાન હંમેશા પ્રથમ ક્રમે રહેલું સુરત હવે ૫૧૪ વ્યકિતઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવીને પોતાનું પ્લાઝમા દાન કરવામાં સુરતીઓએ લહેરીલાલાનો આગવો મીજાજ બતાવ્યો છે. જન્મદિવસને કે અન્ય પ્રસંગ દિવસને યાદગાર બનાવી સમાજ પ્રત્યે પોતાનું ઋુણ અદા કરી રહ્યા છે. તો કોરોના વાયરસ સામે લડતા સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થવામાં આગવું બળ પુરૂં પાડી રહ્યા છે.
રોજીરોટી અર્થે સુરતને કર્મભુમિ બનાવી, વસતા રત્નકલાકારો કોરોના દર્દીઓ માટે જીવંત હીરા સાબિત થાય છે. ડાયમંડ ઉદ્યોગપતિઓના પ્રોત્સાહનથી પ્લાઝમા દાન માટે પ્રેરક કદમ ઉઠાવ્યું છે.
કતારગામની ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં કાર્યકર્તા શ્રી જયેશભાઈ મોણપરાને નજીકના સંબંધીનો વિનંતી સાથે ફોન આવ્યો કે, પ્લાઝમાની તાતી જરૂરીયાત છે, આપના પ્લાઝમાની જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું. તેમનો તા.૩૦મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૫ દિવસ હોમ આઈસોલેટ રહીને કોરોને મ્હાત આપી હતી અને ૨૮ દિવસ બાદ તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું.
પ્લાઝમા ડોનેટ માટે એન્ટી બોડી ટેસ્ટ કરાવવો પડે તેવી વિગતોથી માહિતગાર જયેશભાઈએ ડોનેટ દરમિયાન પ્લાઝમા બેંકના ડો. અંકિતાબેન શાહને વાત કરી કે, અમારી કંપનીમાં ૮૦થી વધુ રત્ન કલાકારોના એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યા છે.
પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપભાઈ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, ૮૦ રત્નકલાકારો પૈકીના ૬૬થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકયા છે. દિલીપભાઈએ કંપનીના રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તુરંત જ પોતાના પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી. પ્રથમ તબક્કે ૬૬ રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર ૪૧ રત્ન કલાકારોના પ્લાઝમા કલેકટ કર્યા છે, જયારે બાકી ૨૫ રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.
યુનિક જેમ્સના પાર્ટનર શ્રીદર્શનભાઈ સલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, ઓક્સિમીટર, સેનેટાઈઝિંગ જેવી તકેદારી રાખી ડાયમંડ પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું હતું. આ સમય દરમ્યાન ઘણી ડાયમંડ કંપનીના રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. અમારી કંપનીમાં પણ છ રત્નકલાકારો સંક્રમિત થયા હતા. જેથી ત્રણ સપ્તાહ કંપની બંધ રાખવી પડી ત્યાર બાદ તા.૧૪મી જુલાઈએ કામ શરૂ કર્યું, છેલ્લા બે થી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેકટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રિપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી ૮૦ થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂકયા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. હાલમાં અમારી કંપનીમાં એક મહિનાથી કોઈ રત્નકલાકારોને કોઈ પ્રકારના લક્ષણો જણાયા નથી.
કંપનીમાં કામ કરતા જયેશભાઈ મોણપરાએ કહ્યું કે, કોરોના સામે લડવા માટે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ થાય તે જરૂરી છે. અમે કંપનીના અન્ય રત્નકલાકારોને કોઈના ઘરનો ચિરાગ ન બુઝાઈ જાય એના માટે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે અમારા તમામ કર્મચારીઓ સમાજ માટે આ સેવાકાર્યમાં પ્લાઝમાં દાન કરવા આગળ આવ્યા એટલુ જ નહિ. બીજીવાર પણ પ્લાઝમાં દાન કરવા તૈયારી તેમણે દર્શાવી તેમ જયેશભાઇ જણાવે છે.
પ્લાઝમા ડોનેટ કરનાર ૩૮ વર્ષિય રત્નકલાકાર વિકાસભાઈ ગોહિલ જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલીકે મને પ્રેરીત કર્યો કે, કોરોનામાંથી સ્વસ્થ થયેલા વ્યકિતમાં એન્ટી બોડી થકી અન્યનું જીવન બચાવી શકાય છે.જેથી મે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતેની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે. આગળ આવા સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ. તેવો પણ મે સંકલ્પ કર્યો છે.
શું છે એન્ટી બોડી ટેસ્ટ..?
પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટીબોડી બન્યા હોય તેઓ જ પ્લાઝમા આપી શકે છે.
ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજીએ તો કોઈ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બને ત્યારે જો તેમની રોગપ્રતિકારક શક્તિ બરાબર હોય તો લોહીમાં રહેલા રોગપ્રતિકારક કોષો કોરોના વાયરસ ની વિરુદ્ધ લડી શકે તેવા એન્ટીબોડી બનાવવા લાગે છે આ વ્યક્તિ શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે રિકવર થઈ જાય છે. રીકવરી બાદ આપણુ શરીર IgG પ્રકાર નાં એન્ટીબોડી બનાવવા લાગે છે. જો આવા વ્યક્તિનો IgG એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે તો તેના શરીરમાંથી IgG એન્ટીબોડીઝ ની હાજરી જાણી શકાય છે. જેથી IgG એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યાં બાદ જે તે વ્યકિત પ્લાઝમા આપી શકે છે.
સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમાં બ્લડ બેંકના હેડ ડો. અંકિતા શાહ જણાવે છે કે, બ્લડ સેમ્પલના કોવિડ IgG એન્ટીબોડી ટેસ્ટથી શરીરમાં એન્ટીબોડીઝની માત્રા અને હાજરીની જાણ થાય છે, જે દર્શાવે છે કે તમે વાયરસનો ભોગ બન્યા હતાં કે નહીં. એન્ટીબોડીઝ હકીકતમાં એક એવું પ્રોટીન છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. IgG એન્ટિ-બોડીઝથી સમૃદ્ધ થયેલા પ્લાઝમાને કોરોના સામે ઝઝૂમી રહેલા દર્દીઓને ચડાવીને નવજીવન આપી શકાય છે. પ્લાઝમા આપવાનું ખુબ સરળ છે. તમારું શરીર તમે પ્લાઝમાનું દાન કરો તેની સાથે નવેસરથી એન્ટિબોડીઝ બનાવવા લાગે છે. પુનઃ સ્વસ્થતા પછી એક વ્યક્તિના પ્લાઝમા દાન કરવાથી બે જિંદગીઓ બચાવી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું.
સ્મીમેર બ્લડ બેંક ખાતે ગાઈડલાઈન મુજબ કોવિડ એન્ટીબોડી ની હાજરી અને માત્રા જાણવા માટે અદ્યતન CLIA (Chemiluminescence) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.
સુરતમાં ૫૧૪ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યાઃ
(૧) સ્મીમેર હોસ્પિટલમાં ૨૮૯ વ્યકિતઓએ ડોનેટ કર્યા ૪૭૯ ઈસ્યુ કર્યાઃ
(૨) સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ વ્યકિતઓએ ડોનેટ કર્યા ૩૦૮ ઈસ્યુ કર્યા
(૩) લોક સમર્પણ રકતદાન કેન્દ્રમાં ૮૦ વ્યકિતઓએ ડોનેટ કર્યા ૧૬૦ ઈસ્યુ
(૪) સુરત રકતદાન કેન્દ્રમાં ૫ ડોનેટ ૧૦ ઈસ્યુઃ