મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજય મંત્રીમંડળની બેઠક

અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનની ઐતિહાસિક ઉપલબ્ધિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતું રાજ્ય મંત્રીમંડળ

ગાંધીનગર, ૦૫ ઓગસ્ટ ૨૦૨૦
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિરના નિર્માણના શિલાન્યાસની ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
ઊર્જામંત્રી શ્રી સૌરભ ભાઈ પટેલે આ અંગેની વિગતો આપતા કહ્યું કે રાજ્ય મંત્રીમંડળે ભગવાન શ્રી
રામના મંદિરના નિર્માણ માટેની સૈકાઓની તપસ્યા અને શ્રદ્ધા પ્રધાનમંત્રીશ્રીના કુશાગ્ર નેતૃત્વમાં ફળીભૂત થઇ છે તેનો આનંદ વ્યકત કરી મ્હો મીઠું કર્યુ હતું.
રાજ્ય મંત્રીમંડળે આ અવસરને ર૧મી સદીના ઇતિહાસની સુવર્ણ ઘટના ગણાવતાં ભારત માતાને જગતગુરૂ બનાવવામાં આવનારા દિવસોમાં આ રામ મંદિર નિર્માણથી નવી દિશા મળશે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવતા વ્યકત કર્યો હતો એમ પણ શ્રી સૌરભ ભાઈ પટેલે જણાવ્યું હતું.