વડોદરા જિલ્લાનું એક એવું ગામ જ્યાં ૮૦ ટકા ખેડૂતો કાશ્મીરી અને દેશી ગુલાબ (Rose)ની ખેતી કરે છે
સાયર: વડોદરા જિલ્લાનું એક એવું ગામ જ્યાં લગભગ ૮૦ ટકા ખેડૂતો કરે છે કાશ્મીરી અને દેશી ગુલાબ (Rose) ની ખેતી
રાજ્યનું બાગાયત ખાતું ગુલાબ (rose)ની ખેતી માટે આપે છે વાવેતર સહાય
લોકડાઉનમાં ગુલાબ (rose)નો ભાવ ખૂબ ઘટી ગયો ત્યારે સાયરના ખેડૂતોએ ગુલાબની પાંદડીઓ સૂકવી અને તેનું વેચાણ કરી આવક મેળવી
વડોદરા, ૨2 માર્ચ: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાશ્મીરી ગુલાબ સહિત ફૂલોની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એટલે કે આ તાલુકો ગુલાબની સુગંધિત ખેતીનું કેન્દ્ર બન્યો છે. કરજણ તાલુકામાં મુખ્યત્વે સાયર મોટી કોરલ અને નાની કોરલ, પૂરા, દેરોલી, રણાપૂર, કોઠીયા, અને દિવેર વગેરે ગામોમાં કાશ્મીરી તથા દેશી ગુલાબની ખેતી થાય છે.
કરજણ તાલુકાના સાયર ગામના મુકેશ માછી અને રોશન માછીનો પરિવાર પેઢી દર પેઢીથી ગુલાબની ખેતી કરે છે. સાયર ગામની ૧૦૦ હેકટર જમીનમાંથી ૯૦% જમીનમાં કાશ્મીરી અને દેશી ગુલાબની ખેતી કરવામાં આવે છે એવું તેમનું કહેવું છે. તદુપરાંત, અહીંના ખેડૂતો મોગરો અને પારસની પુષ્પખેતી પણ કરે છે.
મુકેશ માછીના જણાવ્યા મુજબ છેલ્લા ૩૦ વર્ષથી સાયર ગામમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે. મુકેશ માછીએ જણાવ્યુ કે કોરોના કાળના લોકડાઉન સમય દરમિયાન ગુલાબના ભાવ ઓછા થઈ જતાં તેમણે પહેલીવાર ગુલાબની પાંખડીઓ સૂકવીને સાવલી તાલુકાના કુંજરાવમાં વેચી આવક મેળવી હતી.
કાશ્મીરી ગુલાબની પાંખડીઓ દેશી ગુલાબની તુલનાએ મોટી અને વધુ સારી હોય છે તેથી ગુલકંદ બનાવવા માટેની ગુણવત્તા સારી રહે છે. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધુ ટકાઉ છે.આ ગુલાબની વીણી દિવસે કરી શકાય છે.જ્યારે દેશી ગુલાબમાં વીણી રાત્રે કરવી પડે છે. આમ,આ ગુલાબે રાત્રિ જાગરણ ની અસુવિધાનું નિવારણ કર્યું છે.
વડોદરા ખાતેના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ગુલાબના વાવેતર માટે હેકટર દીઠ સબસિડી આપવામાં આવે છે. બાગાયત વિભાગ નાના અને સીમાંત( small and marginal farmers) ખેડૂતોને હેકટર દીઠ રૂ. ૧૬,૦૦૦ ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ. ૧૦,૦૦૦ ની વાવેતર સહાય કરે છે.
આ વિસ્તારના ખેડૂતો કાશ્મીરી ગુલાબનું વેચાણ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં કરે છે.મોટા વેપારીઓ આ ગુલાબ પાર્સલ થી મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં મોકલે તો છે. યોગેશભાઈ જણાવે છે કે સન ૨૦૨૦- ૨૧ માં વડોદરા કચેરી દ્વારા અંદાજે ૨૦૦ જેટલા ખેડૂતોને ૩૦ હેકટર જમીનમાં ગુલાબની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવી હતી.
આ પણ વાંચો…વજન ઉતારવા(weight loss tips) માટે નાળિયેર પાણી સારુ ઓપ્શન: જાણો, નાળિયેર પાણીના ફાયદા