એક સાથે ચાર મૃતદેહોને શબવાહિનીમાં લઈ જવાની ઘટના પર કડક કાર્યવાહીના આદેશ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી
- ગાંધીનગરમાં શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
- સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ મુખ્યમંત્રીની સૂચના
અહેવાલ: દિલીપ ગજજર,સહાયક માહિતી નિયામક ગાંધીનગર
ગાંધીનગર, ૨૬ નવેમ્બર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના ચાર મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાના જે અહેવાલો વાયરલ થયા છે તેને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ખૂબ જ ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા છે. એટલું જ નહીં, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તેમાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે ગાંધીનગરની આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓના ખુલાસા માંગવાની સુચના આપી છે.
શ્રી નીતિનભાઇ પટેલે એવી પણ સૂચના આપી છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.