” કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામ ને સાકાર કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
- જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામ ને સાકાર કરશે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
- મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો
- ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુકત વીજ પુરવઠો મળશે. રાજયના ગામોને તબકકાવાર યોજનામાં આવરી લેવાશે
- ઉર્જા વિભાગે ખેડૂતોની ચિંતા કરી છે – ખેડૂતોનો ખર્ચ ઘટે આવક બમણી થાય તેવું આયોજન કર્યુ છે દરેક વસ્તુનો સંગ્રહ કરી શકાય પણ વીજળીનો સંગ્રહ કરી શકતો નથી: ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ
- કિસાન સૂર્યોદય યોજનાથી કૃષિમાં ઉત્પાદનમાં વધારો થશે કિસાનોની આવક બમણી થશે: જિલ્લા પ્રભારીમંત્રી શ્રી રમણભાઇ પાટકર
અરવલ્લી, ૦૫ જાન્યુઆરી: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણનો અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવતાં આ યોજના જ્યોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના બની છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યના ધરતીપુત્રોને દિવસે વીજળી આપી ‘દિવસે કામ રાત્રે વિશ્રામ’ની નેમ આ યોજના સાકાર કરશે. ઉત્તર ગુજરાત ના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે અને રાજયના ૩૩ જિલ્લાઓમાં તબક્કાવાર આ યોજના લાગુ કરવામાં આવશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે.
પહેલા ખેડૂતોને રાત્રે ખેતરમાં પિયત કરવા જતા જીવજંતુ કરડવાનો ભય રહેતો હતો, હવે ખેડૂતોને ૮ કલાક દિવસે વીજપુરવઠો મળશે જેથી ખેડૂતોને સુરક્ષા મળી રહેશે તો વળી અગાઉના સમયમાં લંગડી વીજળી મળતી હતી તેમાંથી પણ મુક્તિ મળશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાપર્ણ પણ અમે જ કરીએ છીએ, અગાઉની સરકારો ખાતમુહૂર્ત કરી પથ્થરો મુકતા તે કયારે પૂર્ણ થાય તે નક્કી નહોતું આજે એવુ નથી અમે જે કહિએ છીએ તે કરીએ છીએ અને રાજયના બજેટમાં અમે પૂરતા નાણા ફાળવીને ટેન્ડર કર્યા પછી જ કામનું ખાતમુહૂર્ત કરીએ છીએ, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૨૦નું વર્ષ સંઘર્ષમય રહયું હોવા છંતા કોરોનાની મહામારીમાં પણ આપણે ગુજરાતના વિકાસના કામોને અટકવા દિધા નથી, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યદક્ષતા અને દિર્ઘદ્રષ્ટિથી આ મહામારીમાં અડીખમ ઉભા છીએ, રાજયમાં કોરોનાનો હવે રીકવરી રેટ વધ્યો છે અને મૃત્યુદર પણ ઓછો થયો છે. જાન હૈ તો જહાન હૈના મંત્રને આપણે સુપેરે નિભાવ્યો છે. તેમ જણાવ્યું હતું છેલ્લા પાંચ મહિનામાં રર હજાર કરોડના વિકાસના કાર્યો કર્યા છે. આપણે દશેય દિશામાં વિકાસને આગળ ધપાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકાના ભાવે અનાજ ખરીદી કરી ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ થકી અનેક યોજનાઓનો લાભ આપ્યો છે કિસાનોની આવક બમણી કરવામાં મદદરૂપ બનશે, જેમાં પ્રાકૃતિક ખેતી, કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના જેવા અનેક પ્રયત્નો કર્યા છે. ખેતી સમૃદ્ધ તો ગામ સમૃદ્ધ, ગામ સમૃદ્ધ તો શહેર અને રાજ્ય સમૃદ્ધ બનશે.
હવે ખેડૂતોને માગો ત્યારે વીજ કનેકશન મળશે ૧૧.૫ લાખ વીજ જોડાણ આપ્યા છે ગુજરાતમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટ ઉર્જા પાર્કનું ખાત મુહૂર્ત ડી. સેલીનેશન પ્લાન્ટ માંડવીમાં, ગીરનાર રોપવે કિસાન સૂર્યોદય યોજના, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ યુ.એન.મહેતા, રાજકોટમાં એઇમ્સ જેવી સુવિધાઓનું ઇ-લોકાર્પણ દ્રારા આપણ ને મળી છે ઉત્તમથી સર્વોત્તમ તરફ આપણને આગળ ધપાવ્યા છે. નવો સૂર્યોદય આપણને પ્રાપ્ત થયો છે. આવનારના દિવસોમાં શ્રી નરેન્દ્રભાઇના સંકલ્પોમાં સૌ આગળ વધીએ તેવી શુભ કામના પાઠવી હતી.
આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અત્યારની સરકારમાં ઉર્જા વિભાગગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વઘે તેવા બહુઆયામી પ્રયત્નો કરીને તેમનું જીવન ધોરણ ઉચું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીએ કહ્યુ હતું કે, માંગો ત્યારે વીજ કનેકશન મળશે તેવા દિવસો આજે આવી ગયા છે. અગાઉની સરકારમાં માત્ર ૨૧૦૦ કનેકશન મળતા આજે ૫૦૦૦ કનેકશન અપાયા છે. જયારે ૩.૮૦ લાખ નવા કનેકશનો ખેડૂતોને આપ્યા છે. આજે બાયડમાં ૫૦૦૦ હજારની સામે ૧૫૦૦૦ કનેકશનો છે. એક કનેકશન માટે ૧.૬૦ લાખનો ખર્ચ થાય છે તેની સામે સરકાર માત્ર ૧૦ હજાર લઇને ખેડૂતોને વીજ કનેકશન આપીએ છીએ, સબસિડીનો ખર્ચ ખેડૂતો વતી રાજય સરકાર ભારણ ઉપાડે છે. ઉજાર્મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દરેક વસ્તુનો સંગ્રહ કરી શકાય છે પરંતુ ઉર્જાનો સંગ્રહ કરી શકાતો નથી કિસાન સૂર્યોદય યોજના ઐતિહાસિક અને ખેડૂતોના જીવનમાં બદલાવ લાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રભારી અને વન આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકારે જનસુખાકારી માટે જંગી બજેટ ફાળવીને તમામ લોકોની ચિંતા કરીને વિકાસના કામોને વેગ આપ્યો છે. અન્નક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા છે. યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના ૧૦૪ ગામના કુલ ૪૫ ખેતીવાડી ફીડરોના ૧૨૧૧૪ ખેડૂતોનું ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે.
આ પ્રસંગે સાંસદ શ્રી દિલીપસિંહ રાઠોડે સૌનું સ્વાગત કરી રાજ્ય સરકારની કામગીરીની સરાહ ના કરી હતી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના શાસન માં વિકાસ ઝડપી અને વેગીલો બન્યો છે. સૌની સુખાકારીમાં વધારો કર્યો છે જનતાની સેવા માટે અનેક નિર્ણયો કર્યા છે આપણે સૌ સાથે મળીને તેમના હાથ મજબુત કરીયે આગળ વધીએ અને મેઘરજ તાલુકાના ગામોમાં તળાવો ભરવાનું સૂચન કર્યું હતું
આ પ્રસંગે યુજીવીસીએલ ના એમડી શ્રી મહેશ સિંહ દ્વારા કિસાન સૂર્યોદય યોજનાની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું સ્થાનિક અગ્રણી આગેવાનોએ પણ મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ પ્રભારી મંત્રીશ્રી તથા મહાનુભાવોનો મોમેન્ટો અને શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું
આ કાર્યક્રમમાં ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સુ શ્રી સુનયના તોમર સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્ટસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.