પોલીસ કર્મચારી અને તેની પત્નીએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પંચકોશી બી ડિવિઝન પોલીસ કર્મચારી અને તેની પત્નીએ સજોડે આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી
પતિ-પત્ની બન્ને એ સાથેજ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતા ચાર માસ નું બાળક નોંધારું બન્યું
સમગ્ર પોલીસ બેડામાં સજોડે આત્મહત્યા ના બનાવ થી ભારે ચકચાર: ઉચ્ચ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
રિપોર્ટ:જગત રાવલ
૧૮ ઓગસ્ટ,જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક પોલીસ કોન્સ્ટેબલે ગઈકાલે પોતાના ક્વાર્ટરમાં પત્ની સાથે સજોડે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી મચી ગઇ છે. ઘરકંકાસ ના કારણે આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકો નો માત્ર ચાર માસનો બાળક નોંધારો બની જતાં ભારે ગમગીની છવાઈ છે. સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. જયારે બન્ને મૃતદેહોને ધ્રોલ તાલુકાના જાલીયાદેવાણી માં અંતિમવિધિ માટે મોકલી અપાયા છે.
જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવી દેનારા આ અતિ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરુ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટરના બ્લોક નંબર બી-૩૫ રૂમ નંબર ૪૩૯ માં રહેતા અને પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ (ઉં.વ.૨૮) એ ગઈકાલે પોતાની પત્ની જાગૃતીબેન (ઉંમર વર્ષ ૨૩) સાથે ગળાફાસા દ્વારા આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતક જાગૃતીબેન ના પિતા રમેશભાઈ પ્રેમજીભાઈ સિંધવ કે જેઓ જામનગરમાં એરફોર્સ રોડ ખેતીવાડી ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહે છે, તેઓએ પોલીસને જાણ કરી હોવાથી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બન્ને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયા હતા. ત્યાર પછી ભરતભાઈ જાદવ નું વતન ધ્રોલ તાલુકાના જાલીયાદેવાણી ગામનું હોવાથી પોલીસ હેડકવાર્ટરમાં સલામી આપ્યા પછી મૃતદેહોને અંતિમવિધિ માટે વતનમાં લઈ જવાયા હતા.
સિટી બી ડિવિઝન પોલીસ મથક માં આ મામલે કોઇ અગમ્ય કારણોસર બંન્ને એ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. પરંતુ બંને વચ્ચે ઘરકંકાસ ના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભરતભાઈ જાદવ જામનગરના પોલીસબેડામાં ચાર વર્ષ પહેલા જોડાયા હતા, અને તેમના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા થયા હતા. જે લગ્ન થકી ચાર માસનું બાળક ધ્રુવ કે જે હાલ નોંધારું બની ગયું છે. નાનું બાળક કે જે હજી પોતાના માતા પિતાને જોયા પણ નથી, અને ઓળખતું પણ નથી થયું, તે પહેલાં જ માતા-પિતા બંનેનું છત્ર ગુમાવી દીધું હોવાથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા છે.
પોલીસ કર્મચારી ભરતભાઈ ગઈકાલે બપોરે અઢી વાગ્યા સુધી પોતાની ફરજ પર હતા, અને ત્યાર પછી ઘેર પહોંચ્યા હતા જ્યાં શું બન્યું તે જાણી શકાયું નથી, પરંતુ પ્રથમ જાગૃતીબેન એ ગળેફાંસો ખાઇ લીધો હતો જે અંદરના રૂમમાં હોવાનું અનુમાન લગાવાયું છે, ત્યાર પછી ભરતભાઈ એ દરવાજાનો નકૂચો તોડી અંદર ગયા હતા અને આ ઘટનાને જોઈને હેબતાઈ ગયા હશે, ત્યાર પછી તેણે પણ ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
બંનેના મોબાઈલ ફોન સતત નો રીપ્લાય થતા હતા, મૃતક જાગૃતીબેન તેમના પિતા સાથે દરરોજ મોબાઇલ ફોન પર વાતચીત કરતી હતી, પરંતુ ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી એક પણ ફોન રિસિવ થયા ન હતા. તે જ રીતે ભરતભાઈને પણ પોલીસ મથકે બોલાવવા માટે ના ફોન કર્યા હતા, પરંતુ નો રીપ્લાય થતા હતા. જેથી જાગૃતીબેન ના પિતા રમેશભાઈ ઘર સુધી પહોંચ્યા હતા. જ્યાં નિરીક્ષણ કરતા દરવાજો અંદર થી બંધ હતો.
આખરે તોડવાની ફરજ પડી હતી, અને આસપાસના પોલીસ હેડ કવાટર્સના અન્ય રહેવાસીઓ ને બોલાવી અંદર જઈને નિરીક્ષણ કરતા બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી રમેશભાઈ ભાંગી પડ્યા હતા. બંને મૃતકના પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉપરાંત જામનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને સીટી બી ડિવિઝન નો સ્ટાફ પણ પોલીસ હેડકવાર્ટરમાં દોડી આવ્યો હતો. જામનગરના ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાવની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.