વરાછા બેંકે પ્લાઝમા અવેરનેસ એન્ડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ
સુરતની વરાછા બેંકનું પ્રેરણાદાયી પગલું બેંક કર્મચારીઓ સહિત ૭૧ વ્યકિતઓને પ્લાઝમા દાન કરવા પ્રોત્સાહિત કર્યા
કોરોના મહામારીના જંગમાં વરાછા બેંકે પ્લાઝમા અવેરનેસ એન્ડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ
રિપોર્ટ:પરેશ ટાપણીયા
સુરત:સોમવાર: વરાછા બેંકની પ્રેરણાથી બેંકના ચાર કર્મચારીઓ અને સાત ખાતેદારોએ પ્લાઝમા ડોનેટ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. વરાછા બેંકના જાગૃત્ત હોદ્દેદારોની પ્રેરણાથી વધુ ૭૧ દાતાઓ પ્લાઝમા ડોનેટ કરવાં તૈયારી દર્શાવી છે. જેમની યાદી લોકસમર્પણ કોવિડ-૧૯ પ્લાઝમા સેન્ટરને સુપરત કરવામાં આવી છે. આ દાતાઓ જરૂરિયાત અને અનુકુળતા પ્રમાણે બ્લડબેંકમાં મહામુલા પ્લાઝમા ડોનેટ કરશે. કોરોના મહામારીના જંગમાં કોરોનામુક્ત લોકો પ્લાઝમા દાન માટે આગળ આવે તે હેતુથી વરાછા કો.ઓપ.બેંક લિ. દ્વારા સ્વાતંત્ર્ય પર્વે ‘પ્લાઝમા અવેરનેસ એન્ડ ડોનેશન કેમ્પ’ યોજાયો હતો.
સામાજિક અગ્રણી અને બેંકના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ વિગતો જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજો સામે જંગ લડી દેશને આઝાદી અપાવી, પરંતુ હવે આપણે સૌએ કોરોના સામેનો જંગ આપણે જીતવાનો છે. વરાછા બેંક હંમેશા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા અગ્રેસર રહી છે. આ પરંપરાને જાળવી રાખી વરાછાબેંકનો સ્ટાફ અને બેંકના ખાતેદારોએ લોકસમર્પણ પ્લાઝમા સેન્ટરમાં ૧૧ યુનિટ પ્લાઝમાં દાન કર્યુ છે, જ્યારે વધુ ૭૧ કોરોનામુક્ત થયેલા દાતાઓ પ્લાઝમા દાન માટે તૈયારી દર્શાવતા તેમની યાદી સુપરત કરવામાં આવી છે. કોરોના સામેના જંગમાં પ્લાઝમા થેરાપીના સારા પરિણામ મળ્યાં છે, ત્યારે મહામુલા પ્લાઝમા માટે ડોનેશન માટે કેમ્પ યોજાય તે સુરતના જાગૃત્ત કોરોના યોદ્ધાઓના કારણે શક્ય બન્યું છે.
લોકસમર્પણ બ્લડબેંકના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયે વરાછા બેંક આર્થિક સશક્તિકરણ, પ્લાઝમા જાગૃતિ અને આરોગ્ય સેવામાં નોંધનીય કાર્ય કરી કોરોના જંગમાં લોકોની પડખે રહી છે. તેમણે પ્લાઝમાનું સામૂહિક દાન કરવા બદલ બેંકના હોદ્દેદારો અને સ્ટાફ પરિવારને બિરદાવ્યા હતા.
આ કેમ્પની વિશેષતા એ રહી કે ડો.અરવિંદભાઈ શિરોયા તથા અશ્વિનભાઈ સુદાણી(મોટીવેટર) પણ આ સમયે પ્લાઝમા દાન આપી બે-બે વ્યક્તિઓને જીવતદાન આપવામાં નિમિત્ત બન્યા, તેઓના હસ્તે પ્લાઝમા ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રમેશભાઈ વઘાસિયા, મુકેશ નંદાસણા, ધવલ કાછડિયા, ધનજીભાઈ માણીયા,દિનેશભાઈ સોરઠીયા, મહેન્દ્ર શિંગાળા, રાકેશભાઈ સોજિત્રા, ધર્મેશભાઈ ગજેરા, પિયુષ મનજીભાઈ વઘાસિયાએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. સૌ પ્લાઝમા દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જાણીતા ચેસ્ટ ફિઝીશયન ડૉ.સમીર ગામી, બેંકના સ્થાપક ચેરમેન પી.બી.ઢાંકેચા, જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી, એમ.ડી.શ્રી ભવાનભાઈ નવાપરા, મુકેશભાઈ નાવડિયા સહિત તથા ડિરેકટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.