આજદિન સુધીમાં દેશમાં કોવિડના 7.5 લાખથી વધુ દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થયા; 28,472 દર્દીઓને રજા આપવામાં આવી
સાજા થવાનો દર 63% કરતાં વધુ નોંધાયો
19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ 63.13% કરતાં વધારે
22 JUL 2020 by PIB Ahmedabad
દેશમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે, 28,472 દર્દી કોરોનામાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સાજા થયેલા/ રજા આપવામાં આવેલા દર્દીઓની અત્યાર સુધીની સર્વાધિક સંખ્યા નોંધાઇ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં આ આંકડો ઉમેરાતા આજદિન સુધીમાં દેશમાં કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 7,53,049 સુધી પહોંચી ગઇ છે. આના કારણે કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર પણ તીવ્ર વૃદ્ધિ સાથે 63.13% સુધી પહોંચી ગયો છે.
કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓ સાજા થવાની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી સક્રિય કેસો (આજે 4,11,133)ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓનો તફાવત વધીને 3,41,916 થઇ ગયો છે. આ તફાવતમાં સતત પ્રગતિકારક વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
એક તરફ દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય દર સતત વધી રહ્યો છે ત્યારે, 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડમાંથી દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે નોંધાયો છે.
રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ | સાજા થવાનો દર |
દિલ્હી | 84.83% |
લદ્દાખ (કેન્દ્ર શાસિત પ્રદેશ) | 84.31% |
તેલંગાણા | 78.37% |
હરિયાણા | 76.29% |
આંદામાન અને નિકોબાર ટાપુઓ | 75.00% |
રાજસ્થાન | 72.50% |
ગુજરાત | 72.30% |
છત્તીસગઢ | 71.81% |
આસામ | 71.05% |
ઓડિશા | 70.96% |
તામિલનાડુ | 70.12% |
મણિપુર | 69.48% |
ચંદીગઢ | 68.97% |
ઉત્તરાખંડ | 67.99% |
પંજાબ | 67.86% |
મધ્યપ્રદેશ | 67.47% |
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ | 65.67% |
હિમાચલ પ્રદેશ | 64.72% |
બિહાર | 63.95% |
સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત જોવા મળી રહેલી વૃદ્ધિ અને સક્રિય કેસો તેમજ સાજા થયેલા લોકો વચ્ચેના તફાવતમાં એકધારી વૃદ્ધિ, કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલી અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વ્યૂહરચનાનો પૂરાવો છે અને તેના કારણે ઇચ્છિત પરિણામો સામે આવી રહ્યાં છે. પ્રાથમિકરૂપે, ઘરે ઘરે સર્વે, સર્વેલન્સ, સંપર્કોનું ટ્રેસિંગ, અસરકારક કન્ટેઇન્મેન્ટ આયોજન, વધુ સંવેદનશીલ વસ્તીનું સ્ક્રીનિંગ અને વ્યાપક પ્રમાણમાં પરીક્ષણ દ્વારા અસરગ્રસ્ત દર્દીઓના વહેલાં નિદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્રિ-સ્તરીય આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ અને સારી રીતે અમલમાં મુકવામાં આવેલા સંભાળ પ્રોટોકોલના ધોરણોના કારણે હોસ્પિટલોમાં તેમજ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓની અસરકારક રીતે સારવાર કરવામાં મદદ મળી રહી છે.
નવી દિલ્હી સ્થિત એઇમ્સ અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ઉત્કૃષ્ટતા કેન્દ્રો દ્વારા ICUમાં રાખવામાં આવેલા ગંભીર દર્દીઓની તબીબી સારવારમાં વધુ મદદ કરવામાં આવી રહી છે જેના પરિણામે, ભારતમાં કોવિડના કારણે મૃત્યુદર ઘટાડવામાં નોંધાપાત્ર સફળતા મળી છે. નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલા e-ICU કાર્યક્રમ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન અને સહકાર માટેનું વધુ એક એવું પરિણામ છે જેનો ઉદ્દેશ મૃત્યદર ઘટાડવાનો છે. એક અઠવાડિયામાં બે વખત યોજાતા આ ટેલિ કન્સલ્ટેશન સત્રના કારણે રાજ્યોમાં કોવિડ-19ની મોટી હોસ્પિટલોને અનુભવોના આદાનપ્રદાન અને ICU દર્દીઓના તબીબી વ્યવસ્થાપનમાં આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી ટેકનિકલ સલાહના કારણે ખૂબ જ સારું માર્ગદર્શન અને સહકાર મળી રહ્યા છે. આરોગ્ય સંભાળ કર્મચારીઓના સમર્પિત પ્રયાસોના કારણે કોવિડના દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને મૃત્યુદર સતત નીચે જઇ રહ્યો છે. હાલમાં દેશમાં કોવિડના કારણે સરેરાશ મૃત્યુદર ઘટીને 2.41% સુધી પહોંચી ગયો છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.