વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર
વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત વન ખાતેથી વન મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ
▪સમગ્ર રાજયમાં ૨૧૩૭ જેટલા વૃક્ષોનું ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું : છેલ્લા ૧૩ વર્ષમાં વન બહારના વૃક્ષોમાં ૩૭ ટકા જેટલો વધારો
વિકાસ સાથે પર્યાવરણીય સંતુલનની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે, આવા ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનો વધુમાં વધુ ઉપયોગી કરી શક્ય તેટલા વૃક્ષોનું પુન:સ્થાપિત કરીશુ. અત્યાર સુધીમાં રાજયના વિવિધ સ્થળો ખાતે બે હજારથી વધુ વૃક્ષોનું ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે રાજય સરકાર દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવવામાં આવેલ ટ્રી ટ્રાન્સપ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિતવન ખાતેથી લોકાર્પણ કરતાં વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવે જણાવ્યું હતું.
વન, આદિજાતિ વિકાસ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, વિકાસ માટે કયારેક અનિવાર્ય પણે વૃક્ષ છેદન કરવાની ફરજ પડે છે. જેના કારણે પર્યાવરણીય સંતુલન ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ સ્થિતિને નિવારવા માટે અને વૃક્ષ છેદન ઘટાડવા માટે વિકાસના કામો દરમ્યાન વૃક્ષોને મૂળ જગ્યાએથી સલામત રીતે ઉપાડી અન્ય યોગ્ય જગ્યાએ સ્થાપન કરવાના ઉમદા આશયથી રાજય સરકાર દ્વારા રૂપિયા બે કરોડ પચાસ લાખના ખર્ચે વોલ્વો કંપનીનું ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રની ખરીદી કરવામાં આવી છે. આ યંત્ર થકી રાજયના અનેક વિસ્તારમાં સરળતાથી જઇ શકે તેવું છે.
વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે, તેવું કહીને વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં વર્ષ- ૨૦૦૪ ના સર્વે અનુસાર વન બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા, જે વર્ષ- ૨૦૧૭માં હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ ૩૪.૩૫ કરોડ થવા પામેલ છે. આમ વન બહારના વિસ્તારમાં વક્ષેાની સંખ્યા છેલ્લા ૧૩ વર્ષમાં ૩૭ ટકા જેટલો વધારો થયો છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડી.કે.શર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ સહિત દેશમાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવી રહી છે, ત્યારે વન વિભાગની જવાબદારી પણ વધી જાય છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવનો કાર્યક્રમ યોજીને ૧૦ કરોડથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. વિકાસની સાથે વૃક્ષો પણ બચી શકે તે માટે સરકાર દ્વારા વર્ષ- ૨૦૧૦-૧૧ માં ૮૪૦, ૨૦૧૧-૧૨ માં ૪૪૨, ૨૦૧૨-૧૩ માં ૩૪૦, ૨૦૧૩-૧૪ માં ૩૫૫ અને ૨૦૧૪-૧૫ માં ૧૬૦ મળી કુલ- ૨,૧૩૭ વૃક્ષોનું ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક અને સામાજિક વનીકરણ પ્રભાગના વડા શ્રી રામકુમારે સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટરની શરૂઆત કયારથી થઇ અને કેવો બદલાવ ટેકનોલોજી યુગમાં આવ્યો છે, તેની રસપ્રદ વાતો પોતાની આગવી શૈલીમાં કરી હતી. કાર્યક્રમના અંતે મદદનીશ વન સંરક્ષક શ્રી નેવિલ ચૌધરીએ આભારવિઘી કરી હતી.
આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નાયબ વનસંરક્ષક શ્રી એસ.એમ.ડામોર સહિત મહાનુભાવો અને ગાંધીનગર વન વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
********