જામનગરની જનતાને શ્રાવણ માસ અન્વયે કલેક્ટરની અપીલ
જામનગરના ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તા રવિશંકર.
જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦
આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું મહાત્મ્ય છે, પરંતુ હાલમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે જામનગરમાં મંદિરોમાં લોકોની ભીડ થવાથી કે અન્ય પ્રકારે સંક્રમણમાં વધારો થવાની શકયતાને ધ્યાને લઇ લોક આરોગ્યની સુખાકારી માટે કલેકટર રવિશંકરે આજે ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં દરેક મંદિરોમાં સાવચેતીરૂપ વ્યવસ્થાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.
જામનગરની જનતાને કલેકટરએ અપીલ કરી છે કે, શ્રાવણ માસ દરમિયાન જામનગરમાં દરેક શિવમંદિરો અને અન્ય મંદિરો પણ દર્શન માટે ખુલ્લા રહેશે જેમાં સરકારની માર્ગદર્શિકા મુજબ લોકો સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે પ્રભુના દર્શનનો લાભ લઈ શકશે પરંતુ ગર્ભગૃહમાં જઇ જલાભિષેક, દુગ્ધાભિષેક અને બીલીપત્ર ચડાવવા માટે લોકો નિજમંદિરમાં ન જાય અને સોશિયલ ડિસ્ટંસ, સેનીટાઇઝેશન, માસ્કનું પાલન કરે તો શ્રધ્ધા સાથે જ સ્વસ્થતા પણ જાળવી શકાશે.
રિપોર્ટ: જગત રાવલ, જામનગર
**********