જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ વિનામૂલ્યે માસ્ક વિતરણ
શાકભાજીના વેપારીએ માસ્ક પહેર્યા વિના વેપાર-ધંધા ચાલુ નહીં રાખવા સૂચના અપાઈ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કેટલાક શાકભાજીના વિક્રેતાઓ અથવા અન્ય લારીવાળાઓ માસ્ક પહેર્યા વિના વેપાર ધંધા કરે છે, જેઓ સામે પોલીસ તંત્ર દ્વારા અનેક વખત સમજાવટ કરવા છતાં પણ માસ્ક પહેરતા ન હોવાથી એક હજાર રૂપિયાની મસમોટી દંડની રકમ વસૂલવા ના બદલે સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા શાકભાજી ના વિક્રેતાઓ તેમજ અન્ય લારીવાળાઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરીને ફરજિયાત પણે માસ્ક પહેરીને જ વેપાર કરવા માટેની તાકીદ કરી હતી.
જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ખોડીયાર કોલોની પોલીસ ચોકીના પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા નીલકમલ સોસાયટી રોડ પર ભરાતી શાક બકાલા માર્કેટ, કે જ્યાં મોટાભાગના શાકભાજીના વિક્રેતાઓ કે જેઓ ખૂબજ નબળી આર્થિક પરિસ્થિતિ વાળાઓ છે, પરંતુ તેઓ માસ્ક પહેરતા નથી, અને નિયમનો ભંગ કરે છે. તેઓને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડે તેવી સ્થિતી પણ નથી.
જેને લઇને પોલીસ ની ટીમ દ્વારા મોટાભાગના શાકભાજીના રેકડી વાળાઓ તેમજ અન્ય લારીવાળાઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું. અને ફરજિયાત પણે માસ્ક પહેરીને જ વેપાર ધંધા ચાલુ રાખવાની તાકીદ કરી હતી. ફરીથી માસ્ક પહેર્યા વિના વેપાર ધંધા કરતાં નજરે પડશે તો તેઓ સામે એક હજાર રૂપિયાના દંડની કાર્યવાહી કરાશે, અન્યથા તેઓ સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે.