કોરોનાના કેસીસમાં ગત ૨૪ કલાક માં મોટો ઘટાડો.૫ મહિના નો સૌથી નીચો આંકડો…
ભારતમાં 5 મહિનાના અંતરાલ પછી દૈનિક ધોરણે સૌથી ઓછા નવા કેસ નોંધાયા
કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 3.83 લાખ થતા 4%થી ઓછું થયું
મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે; દૈનિક ધોરણે મૃત્યુઆંક 400થી ઓછો
08 DEC 2020 by PIB Ahmedabad
ભારતે કોવિડ સામેની લડાઇમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 27,000થી ઓછી (26,567) નોંધાઇ છે જે છેલ્લા 5 મહિનામાં પહેલી વખત આટલા નીચા સ્તરે છે. અગાઉ, 10 જુલાઇ 2020ના રોજ એક દિવસમાં નવા કેસની સંખ્યા 26,506 નોંધાઇ હતી.
દરરોજ મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદરમાં પણ એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી ભારતમાં સક્રિય કેસના ઘટાડાનું વલણ સતત જળવાઇ રહ્યું છે.
અન્ય એક મહત્વપૂર્ણ સિદ્ધિ રૂપે, ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 4%ના આંકડાથી નીચે આવી ગયું છે.
સક્રિય કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો થતા હાલમાં 3.83 લાખ થઇ ગયા છે. દેશમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા હાલમાં 3,83,866 છે જે આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી 3.96% છે.
છેલ્લા 24 કલાકમાં નવા 39,045 દર્દીઓ સાજા થઇ ગયા છે. આના કારણે છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસના ભારણમાં 12,863 કેસનો ઘટાડો નોંધાયો છે.
દૈનિક ધોરણે નવા સાજા થયેલા કેસની સંખ્યા નવા નોંધાયેલા કેસની સંખ્યા કરતાં વધુ રહેવાથી એકંદરે સાજા થવાના દરમાં સુધારો આવ્યો છે અને આજે સાજા થવાનો સરેરાશ દર વધીને 94.59% થઇ ગયો છે. આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 91,78,946 થઇ ગઇ છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.31% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 7,345 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે કેરળમાં દૈનિક ધોરણે નવા 4,705 દર્દીઓ અને દિલ્હીમાં 3,818 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 72.50% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 3,272 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 3,075 કેસ અને પશ્ચિમ બંગાળમાં નવા 2,214 કેસ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં મૃત્યુ પામેલા 385 દર્દીઓમાંથી 75.58% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 16.36% એટલે કે 63 દર્દીઓ દિલ્હીમાં મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ બંગાળમાં વધુ 48 જ્યારે મહારાષ્ટ્રમાં 40 દર્દીઓના મૃત્યુ થયા છે.
દેશમાં દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા નવા મૃત્યુની સંખ્યા 400થી ઓછી છે.