કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે

કોવિડ-૧૯ અંતર્ગત રાત્રિ કર્ફ્યુ દરમિયાન
▪કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે
▪રાત્રિના મુસાફરી કરવાના સંજોગો ઉભા થાય ત્યારે ઉભા થાય ત્યારે મુસાફરી રાત્રિના ૯.૦૦ પહેલા શરૂ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

ગાંધીનગર, ૦૩ જુલાઈ ૨૦૨૦

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-૧૯ની પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્યમાં રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમિયાન કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ થઈ રહ્યો છે. આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે જેમાં રાત્રીના ૯.૦૦ થી ૫.૦૦ દરમિયાન કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન થઈ શકશે એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની યાદીમાં જણાવાયુ છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આયોજિત ટ્રીપોનું સંચાલન સવારના ૭.૦૦ થી શરૂ કરી રાત્રિના ૨૦.૦૦ (રાત્રે ૮.૦૦ વાગ્યા) સુધી પૂર્ણ થાય તે રીતે કરવાનું રહેશે. રાત્રીના મુસાફરી કરવાના સંજોગો ઊભા થાય ત્યારે તે મુસાફરી રાત્રિના ૯.૦૦ કલાક પહેલાં શરૂ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. આ સમયગાળા દરમિયાન કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બસ ઓપરેટરે જીપીએસ/જીપીઆરએસ સિસ્ટમ લગાવી આવશ્યક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ગૃહ સચિવના પત્રથી સ્પષ્ટતા કરાઈ છે. રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમિયાન વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો હેતુ લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે છે. આ પ્રતિબંધ ગુડ્ઝ ટ્રકો/વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. જેથી આ પ્રકારના વાહનો તેમજ મુસાફરોની અવરજવર રોકવામાં ન આવે તે બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી દેવાય છે તેમ વધુમાં જણાવાયું છે.
રિપોર્ટ: દિલીપ ગજ્જર, માહિતી વિભાગ ગાંધીનગર