બનાસકાંઠા (Banaskantha) ના ચંડીસર ગામમાં સરકારી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ
બનાસકાંઠા (Banaskantha) ના ચંડીસર ગામમાં સરકારી જમીન પચાવી પાડવા પર વધુ એક ઇસમ વિરૂધ્ધ ફરિયાદ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૫ ફેબ્રુઆરી: ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં સર્વે નં.૯૮૫ વાળી સરકારી જમીનમાં કોઇપણ જાતની મંજુરી મેળવ્યા વિના અંદાજે ૨૦૦૦ ચોરસ ફુટ જમીનમાં ધાબા (હોટલ) બનાવી દોઢથી બે વર્ષ અગાઉથી અનઅધિકૃત દબાણ કરનાર ભેમજીભાઇ જાલુજી ઠાકોર વિરૂધ્ધ ચંડીસરના રેવન્યુ તલાટી શ્રી જીગલબેન રામજીભાઇ પ્રજાપતિએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જેનાથી દબાણદાર ઇસમોમાં ફફડાટ વ્યાપો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પચાવી પાડનાર તત્વો સામે તંત્રએ ગયા મહિનામાં ત્રણ ઇસમો સામે ફરીયાદ દાખલ કરાવી હતી. જેમાં પોલીસ તપાસ કરી રહી છે.
આ બાબતે પાલનપુર ખાતે તા. ૨૫ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કમિટી ની બેઠક મળી હતી. જેમાં જમીન પચાવી પાડનાર તત્વો સામે નિયમોનુંસાર કડક કાર્યવાહી કરવા કલેકટરશ્રી આનંદ પટેલે સ્પષ્ટપણે જણાવ્યુ હતું. જે અનુસંધાને મામલદારશ્રી(ગ્રા) પાલનપુર તરફથી સર્વે નંબર સાથે થયેલ દરખાસ્તના આધારે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપી હતી.
બનાસકાંઠા કલેકટશ્રી આનંદ પટેલે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.