“કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ
- કોરોના મુક્ત રાજકોટ માટે સંકલ્પબધ્ધ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ સ્થિત કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલ
- “કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ
- ઇમરજન્સી સારવાર સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ”: શ્રી રવીભાઇ વરસાણી, ચિફ ફાર્માસીસ્ટ
અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ
રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: કોઇ પણ મુશ્કેલ કાર્ય-પછી તે યુધ્ધ હોય કે આફત કે કોઇ અસંભવિત કામ હોય, તે તમામ પૂર્વ આયોજન અને સમયાનુસારના અમલીકરણથી સિધ્ધ થાય જ છે. હાલના કોરોના સંક્રમણના ઉભરી આવેલા કપરા સમયમાં પણ સંક્રમણને અટકાવવા રાજય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન અને ક્રમબધ્ધ અમલીકરણના ભગીરથ પ્રયાસો કરાઇ રહ્યા છે.
કોરોના સંક્રમણના દર્દીને આર્થિક કારણોસર સારવાર માટે મુંઝાવું ન પડે તે માટે શહેર કક્ષાએ ડેડીકેટેડ કોવીડ-૧૯ હેાસ્પિટલ ઉપરાંત અન્ય સમરસ હોસ્ટેલ ખાતે તથા સોરાષ્ટ્ર કેર કેન્સર હોસ્પિટલ ખાતે પણ કોવિડ-૧૯ની સારવાર માટે અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. ગ્રામ્ય કક્ષાએ પણ ધોરાજી, ગોંડલ અને જસદણ ખાતે સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
આવી જ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પીટલ ખાતે કાર્યરત કોવિડ-૧૯ની હોસ્પિટલમાં કોરોનાના દર્દીને ઉપલબ્ધ સારવાર વિશે માહિતી આપતાં હોસ્પિટલના ચીફ ફાર્માસીસ્ટ શ્રી રવીભાઇ વરસાણી જણાવે છે કે ૨૦૦ બેડની ઓકસીજન અને ઇમરજન્સી સારવાર માટેની તમામ સુવિધાથી સજજ આ હોસ્પિટલમાં દર્દીઓ માટે પર્યાપ્ત જથ્થામાં દવાઓ જેવી કે પેઇનકીલર્સ, સપોર્ટીંગ ન્યુટ્રીઅન્સ, રેમ્ડેસીવીર ઇન્જેકશન્સ સહીત કોઇ પણ દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે જરૂરી તમામ દવાઓ અને ઓકસીજન, વેન્ટીલેટર સહિતના સાધનો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત રાષ્ટ્રભાવનાને અગ્રેસર કરી ફરજપરસ્ત એવા કોરોના વોરીયર્સ ડોકટરો સહિતના તમામ સ્ટાફને કોરોના સારવાર માટે જરૂરી પી.પી.ઇ. કીટસ, હેન્ડ સેનેટાઇઝર, થ્રી લેયર માસ્ક, એન.૯૫ માસ્ક સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આમ કોરોના સંક્મીત કોઇ પણ દર્દી અહીં સારવાર લઇ શકે તેની તમામ સુવિધાઓ રાજય સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવાઇ છે.
આમ છતાં ‘‘સાવચેતી એ જ સલામતી’’ એ બાબત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. લોકો કોરોના સંક્રમણથી બચે તે વધુ હિતાવહ હોઇ દરેક લોકો રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચવાતી દરેક માર્ગદર્શીકાઓનું ચૂસ્તપણે પાલન કરે અને જરૂરી હોય તો જ બહાર નીકળે, બહાર નીકળતી વખતે માસ્ક મોં પર અવશ્ય ધારણ કરે, વારંવાર હાથ ધોવાનું ન ચુકે અને હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કોઇપણ જગ્યાએ સ્પર્શ કર્યા બાદ અવશ્ય કરે તો ‘‘હારશે કોરોના જીતશે રાજકોટ’’.