Plasma donner medical student 4 2

૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી

સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને માનવતા મહેકાવી છે, જેમાં ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ બ્લડ દાન કરીને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.


મોટા વરાછા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. સંજય ઠુમ્મરે જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વાયરસની શરૂઆતથી જ આરોગ્ય સેવા આપવામાં યોગદાન આપી રહ્યા છીએ. એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતા પ્લાઝમા મળી રહે તેમજ જરૂરતમંદને રક્ત પણ મળી રહે એ હેતુથી જાગૃત્તિ ઝુંબેશ ઉપાડી હતી. જેમાં અસોસિએશનના ૭૦ તબીબો કે જેમને કોરોનાના લક્ષણો જણાયા હતા તેઓએ સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતા શાહનો સંપર્ક કરી એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા હતા. ૩૭ ડોક્ટરના એન્ટીબોડી બન્યા હોવાથી તેમણે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યુ. અન્ય ૩૩ તબીબોએ રક્તદાન કર્યું છે.

loading…

કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની સામે રોગપ્રતિકારક શક્તિ હોવી એ વરદાનરૂપ છે. જેથી એલોપેથિક સારવારની સાથે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હોવાનું શ્રી ઠુમ્મર જણાવે છે.

એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણીએ પ્લાઝમા આપ્યું છે. તેઓ જણાવે છે કે, કોરોના મહામારીના લીધે માર્ચ મહિનાંથી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી વરાછા મેડિકલ અસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે પહેલ કરતા રૂ.અઢી લાખની ફૂડ કિટસ બનાવી સુરતના જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે એસોસિએશનના તબીબોએ ઝુંબેશ ઉપાડીને દર્દીઓ માટે પ્લાઝમા પુરુ પાડવાનું બીડું ઉપાડ્યું છે. રક્તદાન પણ જરૂરી હોવાથી અમે પ્લાઝમા સાથે રક્તદાન પણ થાય એ માટે સક્રિય છીએ.
ડો.વાઘાણીએ વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન સેવા આપતા ઘણા તબીબો સંક્રમિત થયા છે. હું પણ કોરોના સંક્રમિત થયો હતો. ૩૦ જુનના રોજ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ૧૪ દિવસ હોમ આઈસોલેટ રહીને સારવાર લીધી હતી. ૨૮ દિવસ બાદ સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો. જેમાં એન્ટિબોડી બન્યા હોવાથી ૨૦ જુલાઈએ પહેલી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું. પંદર દિવસ બાદ ફરી જરૂર જણાશે તો ફરી વાર પ્લાઝમા આપવા તૈયાર છું. તેવી જ રીતે સેવાના હેતું એસોસિએશનના અન્ય તબીબો પણ ખભે-ખભા મિલાવીને લોકોને કોરોનાથી બચાવવા અને કોરોના સામેનો જંગ જીતવા પ્રયત્નો કરી રહ્યા છે.
આમ, સમાજને સહાયરૂપ થવા સુરતના આ જાગૃત્ત તબીબોએ આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી છે.