ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી
ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી
- ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે.
- ડો.રાવે આપ્યો સંકેત:શહેરી સ્મશાનો ખાતે સેવા આપી રહેલા અંતિમ સંસ્કાર સહાયકોનું જાહેર સન્માન કરવામાં આવશે
- છેલ્લા ૧૯ દિવસમાં વડોદરા સિવાયના આસપાસના જિલ્લાઓ અને મધ્યપ્રદેશના ૧૬૦ મૃતકોની અંતિમવિધિ કે દફન વિધિ કોવિડ પ્રોટોકોલ અનુસરીને શહેરી સુવિધા ખાતે થઈ
વડોદરા,૨૦ સપ્ટેમ્બર:કોરોના મરણ અને સામાન્ય મરણના પ્રસંગોએ સ્મશાનોમાં અંતિમવિધિ સરળતાથી અને સમયસર થાય તે સુનિશ્ચિત કરવાના આશય સાથે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે શહેરના ખાસવાડી,અકોટા અને વાસણા સ્મશાન ગૃહોની મુલાકાત લઇને સેવા સુવિધાઓનું નિરીક્ષણ કરવાની સાથે વિચાર વિમર્શ કરીને વિગતવાર સમીક્ષા કરી હતી.
તેમણે ખાસ કરીને પ્રત્યેક સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર સહાયકોની અવિરત સેવાઓને બિરદાવી હતી.
તેમણે સવારના સમયે ખાસવાડીથી મુલાકાત શરૂ કરી હતી. અહી તેમણે મહાનગર પાલિકાના અધિકારીઓ અને સેવા સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટના સ્વયં સેવકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હાલમાં આ શ્મશાન ખાતે કોવિડ મરણ અને સામાન્ય મરણના મૃતદેહોના અંતિમ સંસ્કાર વેઇટિંગ વગર સરળતાથી થઈ રહ્યાં છે.હાલમાં બે ગેસ ચિતાઓ કાર્યરત છે અને ૧૪ સાદી ચિતાઓ માટે લાકડાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સ્વજનોના આગમનની રાહ જોવાને લીધે મૃતદેહનો અંતિમ સંસ્કાર વિલંબથી કરાય અથવા હોસ્પિટલ ખાતે ઉચિત પ્રોસિજર પૂરો કરવામાં વાર લાગે અને એના લીધે સ્મશાન ખાતે મૃતદેહ મોડાં પહોંચે તેવા સંજોગોમાં કામચલાઉ અવરોધ સર્જાય છે.એટલે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે પ્રોસીજર વધુ સરળ અને ઝડપી બને તે માટે ઉચિત પ્રયત્નો કરવાનો તેમણે સંકેત આપ્યો હતો.
અકોટા સ્મશાન ખાતે સેવા અને સુવિધાઓનું નિરીક્ષણ કરવાની સાથે ડો.રાવે મૃતક વ્યક્તિઓના સ્વજનો સાથે સંવાદ કર્યો હતો.જેમાં આ લોકોએ સયાજી હોસ્પિટલ ખાતેની સારવાર સેવાઓ અને અકોટા સ્મશાન ખાતેની સેવા સુવિધાઓ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. વાસણા સ્મશાન ખાતે તેમણે જલારામ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ, સ્વયં સેવકો અને કામદારો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.અત્રે આસપાસ રહેતા લોકોની માંગણી અને લાગણીને અનુલક્ષીને સાંજના ૬ વાગ્યા થી રાત્રિના ૯ વાગ્યા સુધી અંતિમ વિધિ કરવામાં આવતી નથી.આ વ્યવસ્થાના પગલે હવે કોવિડ પ્રોટોકોલ પ્રમાણેની અંતિમ વિધિઓ પણ કોઈ સમસ્યા વગર થઈ રહી છે એમ તેમણે જણાવ્યું છે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સ્મશાનોની મુલાકાત સમયે અંતિમ સંસ્કાર સરળ બનાવી રહેલા અંતિમ સંસ્કાર સહાયકો સાથે સંવેદના સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સાચા કોરોના વોરિયર્સ ખૂબ જ નિષ્ઠા દાખવી અવિરત સેવાઓ આપી રહ્યાં છે.તેમની સેવાઓ અમૂલ્ય છે.પરિસ્થિત સુધરે અને લગભગ પૂર્વવત બને ત્યારે આ લોકોની પરિશ્રમસભર અને નિષ્ઠાવાન સેવાઓની જાહેર સન્માન દ્વારા કદર કરવાનો તેમણે સંકેત આપ્યો હતો.
વર્તમાન સપ્ટેમ્બર મહિનાના છેલ્લા ૧૯ દિવસ દરમિયાન વડોદરા શહેરની સુવિધા ખાતે આસપાસના સાત જિલ્લાઓ અને મધ્યપ્રદેશના મળી કુલ ૧૬૦ મૃતકોના અંતિમ સંસ્કાર કે દફનવિધિ કોવિડ પ્રોટોકોલને અનુસરીને કરવામાં આવી છે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે તેમાં કોવિડ પોઝિટિવ અને શંકાસ્પદ તેમજ કોવિડથી સાજા થઈને( રિકવર) થઈને મૃત્યુ પામેલાઓનો સમાવેશ થાય છે.જેમની અંતિમ વિધિ શહેરી સ્મશાનો અથવા કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી.
આ મૃતકો ભરૂચ, આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ, નર્મદા અને મહીસાગર જિલ્લાઓ
તેમજ મધ્યપ્રદેશના હતાં. તેમના મરણ વડોદરાના દવાખાનાઓમાં થયાં હતાં અને તકેદારીના ભાગરૂપે આ લોકોની અંતિમ વિધિ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવી હતી. એટલે અન્ય જિલ્લાઓના આ મૃતકોની કોવિડ વિષયક તકેદારીઓ પાળી વડોદરાના અંતિમ વિધિ સ્થળો ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી