એક સંકલ્પ, એક લક્ષ્ય – આત્મનિર્ભર ભારત: અમિત શાહ


01 જૂન 2020થી દેશભરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો (CAPF)ની કેન્ટીનો અને સ્ટોર્સ પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે

13 MAY 2020 by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશને આત્મનિર્ભર બનાવવા અને ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે એક અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ અપીલને આવનારા સમયમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવાનો માર્ગ મોકળો કરનારું માર્ગદર્શન ગણાવી હતી.

https://twitter.com/AmitShah/status/1260472519347310595?s=20

આ દિશામાં આજે ગૃહ મંત્રાલયે એવો નિર્ણય લીધો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો (CAPF)ની કેન્ટીનો અને સ્ટોર્સ પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. 01 જૂન 2020થી દેશભરમાં તમામ CAPF કેન્ટીનો પર આનો અમલ શરૂ થઇ જશે, જેની કુલ ખરીદી લગભગ 2800 કરોડ રૂપિયા છે. તેમાં લગભગ 10 લાખ CAPF કર્મચારીઓના 50 લાખ પરિવારજનો સ્વદેશી ચીજોનો ઉપયોગ કરશે.

ગૃહમંત્રીએ દેશની જનતાને પણ અપીલ કરતા કહ્યું હતું કે, “તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરો અને અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહન આપો. અત્યારે, પાછળ રહેવાનો સમય નથી પરંતુ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાનો સમય છે.”

શ્રી શાહે જણાવ્યા અનુસાર જો દરેક ભારતીય ભારતમાં જ બનેલા ઉત્પાદનો (સ્વદેશી)નો ઉપયોગ કરવાનો સંકલ્પ કરે તો આવનારા પાંચ વર્ષમાં આપણો દેશ આત્મનિર્ભર બની શકે છે.

દેશની જનતાને અપીલ કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “આવો આપણે સૌ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાથ વધુ મજબૂત કરીએ.”