“એક વાત મહાત્માની” અંક ૧૮ : ખાદીનો જન્મ
“ખાદી માત્ર વસ્ત્ર નહી વિચાર છે” “ખાદીશક્તિ અને રેંટિયા”ની તાકાતથી હિન્દુસ્તાનનાં લાખો ગરીબોની ગરીબીને નાથીને આઝાદી મેળવવાનું માધ્યમ બની શકે તેવું ગાંધીજીનું માનવું હતું. હિન્દુસ્તાનમાં ચાર મહિના તો કોઈ કામ વગર જ ગામડાંમાં વસતા લોકો દિવસો પસાર કરતા હતા. ગૃહ ઉદ્યોગને મજબુત કરવું જરૂરી હતું. આફ્રિકામાં કે ભારતમાં વર્ષ ૧૯૦૮ સુધી રેંટિયા કે સાળ વિશેની જાણ ગાંધીજી ન હતી. વર્ષ ૧૯૧૫માં આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સ્થાપેલ સાબરમતી આશ્રમ સાળ વસાવી. ત્યાં સુધી ગાંધીજીને ક્યાંય રેંટીયો જોવા ન મળ્યો. સાળ વસાવ્યા બાદ કલમ ચાવનાર લોકોની વચ્ચે કોઈ એવો વ્યક્તિ ન મળ્યો જે તેને ચાલવી શકે. છેવટે ગાંધીજીને કાઠીયાવાડ અને પાલનપુરમાંથી સાળ ચલાવાવની હુન્નર જાણનાર મળ્યો. આશ્રમનાં મગનલાલ ગાંધીએ વણાટકામ અને હાથકંતામણની કામગીરી પોતાના હાથમાં લીધી હતી. મિલોનાં બનાવેલા કપડા છોડીને પોતે કાંતેલા કપડા પહેરવાની ધૂની લાગી હતી. મિલો પણ પોતે કાંતીને પોતે વણતી હતી પરતું મિલોનાં એજન્ટો બનાવમાં કોઈ દેશસેવા હોય તેમ ગાંધીજીને જણાયું નહિ. પરંતુ ક્યાંય ન રેંટીયો મળતો કે ન તે ચલાવનાર. વર્ષ ૧૯૧૭માં ગાંધીજી ભરૂચ ગયા અને ત્યાં તેમનો ભેટો ગંગાબાઈ સાથે થયો. ગાંધીજીએ રેંટીયો શોધવાનું કામ તેમને સોપ્યું.
આખું ગુજરાત ફરી વળ્યા બાદ ગંગાબાઈને ગાયકવાડનાં વિજાપુરમાં રેંટીયો અને તે ચાલવી શકે તેવા પરિવાર મળ્યાની વાત ગાંધીજીને કરી. પરિવારે સુતરની ખપત અને પૂણીની જરૂરિયાત પૂરી ન થતી હોવાને કારણે રેંટીયાને માળીયે ચઠાવી મુક્યા હતા. માલની ખપત અને તૈયાર સુતર લેવાની બાહેધરી બાદ કાંતવાની કામગીરી ચાલુ થઇ. સ્વદેશી કાપડ અને ખાદી બનાવવા પાછળ ગાંધીજીનો ઉદેશ્ય ગરીબોને રોજગારી આપવાનો હતો. વણકરો એ કંતાયેલ સુતરને વણવાનું શરુ કર્યું પુણીઓ પૂરી પાડવાની જવાબદારી ઉમર સોબનીભાઈને માથે આવી. તેમણે આ કાચો માલ મિલમાંથી મેળવ્યો હતો જેથી ગાંધીજી થોડા વ્યથિત હતા. તેમને “રૂ” મેળવવા ભિક્ષા માંગવાનું શરુ કર્યું. અને અંતે ખુબ મુશ્કેલીઓ, તકલીફો વચ્ચે ખાદીનો જન્મ થયો. વિજાપુરની ખાદી પંકાઈ અને ગાંધીજીએ પણ તે પહેરવાની શરૂઆત કરી અને તેમણે છેલ્લે શ્વાસ સુધી ખાદીને પોતાના અંગે લગાવી રાખી.
હિન્દુસ્તાનમાં વિદેશી કાપડનો બહિષ્કાર કરીને સ્વદેશી એવું ખાદીને સપૂર્ણપણે આપનાવી તેનું ઉત્પાદન કરવાની ગાંધીજીની ઈચ્છા હતી. વર્ષ ૧૯૮૧માં શ્રી રેવાશંકરભાઈએ રેંટીયા અને હાથ કંતામણ વિષે નિબંધ પ્રતિયોગીતાનું આયોજન કર્યું. જેનો હેતુ લોકો સુધી ખાદી અને રેંટીયાનો વિચાર જન જન સુધી પોહચે તે હતો. વિજેતાને ૧૦૦૦ રૂપિયાની રોકડ રકમ આપવાનું થયું હતું. નિરીક્ષક તરીકે મહાત્મા ગાંધી, મગનલાલ ગાંધી, શંકરલાલ બેંકર, શ્રી અંબાલાલ સારાભાઇ હતા. જેમાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં કામ કરતા આધ્યાપક શ્રી પુણ્યતા બેંકર અને શ્રી વરદાચારી બન્નેને ઇનામ સરખેભાગે આપવામાં આવ્યું. ગાંધીજીએ ખાદી અને રેંટીયાને દેશના ખૂણે ખૂણે પોહચાડી તેમણે સુચવેલા કાર્યક્રમોને અમલમાં મુકીને “સુતરનાં તાંતણે સ્વરાજ”નું સૂત્ર પણ દેશભરમાં ગુંજતું થયું હતું. બાપુએ અંગ્રેજ સત્તાને નબળી પાડીને પોતાની ખામી અને નબળાઈઓને દુર કરી સ્વરાજ સિદ્ધ કરવાના પ્રયત્નો આદર્યા હતા.
વર્ષ ૧૯૨૧નાં ડીસેમ્બરમાં અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસનાં અધિવેશનમાં મંડપ, ઉતારા, ઝંડા વગેરે માટે શુદ્ધ ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત અધિવેશનમાં આવનાર પ્રતિનિધિઓને ખાદીનો પોશાક પહેરીને આવવા સુચન કરવામાં આવ્યું હતું. અધિવેશન સાથે હાથકાંતણ અને હાથવણાટની પ્રકિયાઓ બનાવાવની વ્યવસ્થાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૨૨માં મોહમદ અલીનાં પ્રમુખપદે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં અખિલ ભારતીય ખાદી મંડળની સ્થાપના કરવામાં આવી તે સમયે ગાંધીજી પોતે જેલમાં હતા પરંતુ ગાંધીજીએ આપેલા ખાદી અને સ્વદેશીનાં મંત્રનું આ પરિણામ હતું. ત્યાર બાદ ચરખા સંઘની સ્થાપના થઇ. જેના મહાત્મા ગાંધી પ્રમુખ, રાજેન્દ્ર પ્રસાદ, મોલાના શોકતઅલી, સતીશચંદ્ર દાસગુપ્તા, જમનાલાલ બજાજ કોષાધ્યક્ષ અને ત્રણ મંત્રી તરીકે શ્વેત કુરેશી, પંડિત જવાહરલાલ નેહરુ, અને શંકરલાલ બેંકર હતા. ગાંધીજીએ જણાવ્યું હતું કે હાથ કાંતમણ તથા ખાદીના ઉદ્યોગની પ્રગતિને ખાતર એક સ્વતંત્ર મંડળોની અસર તથા અંકુશોથી તદ્દન મુક્ત એવું સુસંગઠિત મંડળ સ્થાપ્ય સિવાય ખાદીની પ્રગતિ અશક્ય છે એમ અનુભવીને અખિલ ભારતીય ચરખા સંઘની સંસ્થાને મહાસભાનાં એક અંગ તરીકે સ્થાપવામાં આવે છે”
ગાંધીજીનાં અથાક પ્રયત્ન અને કામગીરીને કારણે હિન્દુસ્તાનનું એક પણ ગામ એવું ન હતું જ્યાં આ ખાદી માટેનીં કામગીરી ન થતી હોય. આમ આ કોઈ માત્ર વસ્ત્ર પહેરવા માટેની કોઈ પ્રવૃત્તિ પુરતું સીમિત ન હતું ખાદીને કારણે દેશના ખૂણે ખૂણેથી મહિલાઓ જોડાઇ અને પોતે પગભર થયાની અનુભવ કર્યો. માટે જ કેહવાય છે કે “ ખાદી માત્ર વસ્ત્ર નથી તે એક વિચાર અને વિચારધારા છે.
(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)
Reference: ગાંધી આત્માકથા, ગાંધી સાહિત્ય.
ક્લિક કરો અને આગણ વાંચો…. અંક ૧૯ : કેળવણીકાર ગાંધીજી