ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિ અંગે ધનરાજભાઇ નથવાણી એ આપ્યું નિવેદન…
અહેવાલ: જગત રાવલ
જામનગર: ૦૯ ડિસેમ્બર: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) ના ઉપ પ્રમુખ ધનરાજભાઇ નથવાણી એ પાર્થિવ પટેલની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાર્થિવ પટેલ અંગે ગર્વ અનુભવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ને પ્રસિદ્ધિ અપાવી છે. તેમણે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે ઇન્ટરનેશનલ અને કેટલીક ટી-20 રમી છે અને 2002માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટમાં પદાર્પણ કરીને ભારતના સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું બહુમાન મેળવ્યું હતું. તેમની કપ્તાનીમાં જી.સી.એ.ની ટીમે 60 વર્ષ પછી પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી. સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ની ટીમે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજય મેળવ્યો ત્યારે તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું. અમે ક્રિકેટના વિકાસ અને વૃદ્ધિમાં તેમના પ્રદાનની નોંધ લઈએ છીએ અને પ્રશંસા કરીએ હતી અને તેઓ ભવિષ્યના આયોજનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.