World Wildlife Day: ઉનાળામાં જંગલના જીવોને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડીઓ ભરવાનું શરૂ કર્યું…
વિશ્વ વન્ય પ્રાણી દિવસ: (World Wildlife Day) ઉનાળામાં જંગલના જીવોને જંગલમાં પીવાનું પાણી મળી રહે તે માટે વન્ય પ્રાણી વિભાગે રતન મહાલ અને જાંબુઘોડા માં ટેન્કર દ્વારા ૬૦ કુંડીઓ ભરવાનું શરૂ કર્યું…
વડોદરા, ૦૨ માર્ચ: 3 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ વન્ય પ્રાણી દિવસ (World Wildlife Day)ની ઉજવણી થાય છે જેનો આશય વન્ય જીવો ની સુરક્ષા દ્વારા પર્યાવરણ સુરક્ષાની જાગૃતિ લોક સમુદાયોમાં કેળવવાનો છે.
અંતરિયાળ વિસ્તારમાં બોરવેલ સાથે જોડાયેલી ૧૨ કુંડીઓ બનાવવામાં આવી છે. જેને પવનચક્કી દ્વારા ભરવામાં આવે છે. ગામલોકો સાથે સંવાદ બેઠકો યોજી જંગલી પ્રાણીઓ માટેની કુંડીઓ નું પાણી સુરક્ષિત રાખવાની સમજાવટ કરવાનું આયોજન..
આવતીકાલ બુધવારના રોજ વિશ્વ વન્ય પ્રાણી દિવસની (World Wildlife Day) ઉજવણી થવાની છે ત્યારે વન્ય પ્રાણીઓ ની સુરક્ષા માટે અને હિંસક પ્રાણીઓ અને માનવ વસતી વચ્ચે સંઘર્ષ ટાળવા માટે વન્ય જીવ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક શ્રી બી.આર.વાઘેલા એ જણાવ્યું કે ઉનાળામાં જંગલ વિસ્તારમાં પાણીના સ્ત્રોત સુકાઈ જતાં,જંગલ જીવોને નાછૂટકે વસ્તીમાં ના આવવું પડે તે માટે અમે રતન મહાલમાં ૨૨ કુંડીઓ,જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જમાં કુલ ૩૮ કુંડીઓ બનાવી છે. આમ આગળ ધપતા ઉનાળાને અનુલક્ષી ને ટેન્કર દ્વારા કુલ ૬૦ કુંડીઓમાં પાણી ભરવાની શરૂઆત કરી છે.
ખાસ વાત એ છે કે દૂરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં ટેંકરો જઈ શકતી નથી.આ વિસ્તારોમાં પાણી ના સ્ત્રોત સુકાઈ જાય તો વન્ય પ્રાણીઓ માટે મુશ્કેલી વધે.તેના નિરાકરણ માટે જાંબુઘોડા વન ક્ષેત્રના આવા દુર્ગમ વિસ્તારોમાં ૧૨ જેટલી બોરવેલ સંલગ્ન પવનચક્કીઓ બનાવવામાં આવી છે.આ ચક્કીઓ ની મદદ થી બોરના પાણી વન રક્ષકો દ્વારા કુંડીઓ માં ભરવામાં આવતા ખૂબ સરળતા થઈ છે.
વન્ય પ્રાણી વિભાગે વિશ્વ વન્ય પ્રાણી દિવસની (World Wildlife Day) ઉજવણી ના ભાગરૂપે ત્રણેય રેન્જમાં ગામોમાં ગામલોકો સાથે સંવાદ સભાઓ યોજવામાં આવશે જેમાં પ્રાણીઓ માટેની કુંડીઓ માં થી પાલતુ પશુઓ ને પાણી ન પીવડાવી,વન્ય પ્રાણીઓ માટે પાણી સુરક્ષિત રાખવાની સમજાવટ કરવામાં આવશે.