જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા
મહાનગરપાલિકા દ્વારા 12 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને મોમેન્ટો, સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા
મહાનગરપાલિકાનું રેન્કીંગ વધારવા લોકોનો સહયોગ આવશ્યક કમીશ્નર પટેલ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૬ ડિસેમ્બર: જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અન્વયે સ્વચ્છ જામનગર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અલગ-અલગ કેટગરીમાં સ્વચ્છતા રેન્કીંગ તથા સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કુલ અલગ-અલગ 12 કેટેગરીમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી.
સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર શહેરને 80માં ક્રમમાંથી 28માં ક્રમે અગ્રતા તરફ લઇ જવામાં મહાનગરપાલિકાના પાયાના સફાઇ કર્મચારીઓ ઉપરાંત શહેરીજનોનો પણ ખૂબ મોટો સહયોગ મળ્યો છે.
આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર શહેરનો ક્રમાક વધુ આગળ આવે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. અલગ-અલગ 12 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધાઓમાં શહેરની સામાજિક સંસ્થાઓ, હોટલ, શાળાઓ, માર્કેટો અને કોર્મશીયલ કોમ્પ્લેક્ષ સહિત શહેરીજનોએ ભાગ લીધો હતો. શહેરની સ્વચ્છતા માટેની લડાઇમાં લોકોએ સક્રિય યોગદાન આપી સ્વચ્છતાનો સંદેશો સમાજને આપ્યો હતો.
આ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને સન્માનીત કરવાનો કાર્યક્રમ મ્યુ.ટાઉનહોલમાં યોજવામાં આવ્યો હતો. ટાઉન હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં મ્યુ.કમિશ્ર્નર સતીષ પટેલ, નાયબ કમિશ્ર્નર એ.કે.વસ્તાણી, મુકેશભાઇ વરણવા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ તેમજ વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા વોરિયર્સ તરીકે કામગીરી કરનારા સફાઇ કર્મચારીઓ, સેનેટરી ઇન્સ્પેકટરો અને વિજેતાઓને મ્યુ.કમિશ્ર્નર દ્વારા મોમેન્ટો, સર્ટીફીકેટ અર્પણ કરી સન્માનતી કરાયા હતા.