કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી (vaccine) મૂકાવી
કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન (vaccine) લઇએ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ: આર.સી.ફળદુ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૧ માર્ચ: જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી (vaccine) મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ થી ૫૯ વર્ષના કો-મોર્બીડ નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે, આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
આ તકે મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, રસી (vaccine) વિશ્વસનીય અને એકદમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, આ રસીની મને કોઈ આડઅસર જોવા મળી નથી. આપણો દેશ રસી ઉત્પાદનમાં અને મેળવવામાં સફળ રહ્યો છે અને આ રસી કોરોના નિયંત્રણ માટે અસરકારક છે એટલા પ્રામાણિત આધારો સાથે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ, કોઈ ભય વગર આ રસી મુકાવી દેશને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપીએ.
આ તકે અન્ન અને નાગરિક રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમખ વિમલભાઇ કગથરા, જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજી વગેરે ડોક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.