વડોદરાની હોસ્પિટલોમાં દાખલ કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી થઈ: ડો.વિનોદ રાવ
વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી થઈ: ખાસ ફરજ પરના અધિકારીએ ગોત્રી અને સયાજી હોસ્પિટલોની મુલાકાત લઈને કરી પરિસ્થિતિની સમીક્ષા
વડોદરા, ૦૭ જાન્યુઆરી: વડોદરાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દી તરીકે સારવાર લઈ રહેલા કોવીડ દર્દીઓની સંખ્યા ઘટીને એક હજાર થી ઓછી થઈ છે. છ મહિના પછી આ રાહતરૂપ પરિસ્થિત સર્જાઈ છે . ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ગોત્રી અને સયાજી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને કોવીડ વિષયક પ્રવર્તમાન પરિસ્થિતિની સર્વાંગી સમીક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું કે આજની તારીખે ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળના કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦ અને સયાજી હોસ્પિટલમાં ૫૫ છે.આજે બપોર બાદ ૪.૪૫ કલાકે વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના કોવીડ દર્દીઓની સંખ્યા ઘટીને એક હજાર થી ઓછી (૯૯૯) થઈ છે.ગત ૭ મી જુલાઇ એ આ સંખ્યા એક હજારનો આંક વટાવી ગયા પછી સતત એક હજારથી વધુ રહી,જે આજે છ મહિના પછી એક હજારથી ઘટી છે.