શ્રેષ્ઠ સારવાર અને સકારાત્મક અભિગમની સંગાથે કોરોનાને પછડાટ આપતો નંદા પરિવાર
સરકારી હોસ્પિટલ હશે તો સારી સગવડ નહીં મળે એ વાતને ખોટી સાબિત કરે છે સમરસ કોવિડ કેર સેન્ટર – સંજયભાઈ નંદા
અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ
રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સવાર-સવારમાં ડોકટર દરેક દર્દી પાસે જઈ તબિયતની ખબર પૂછે – તેની તપાસ કરે. સમયાંતરે દવા, ઉકાળા, હળદરયુક્ત દૂધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવે. અને હા તમે ભૂલી જાવ તો નર્સિંગ સ્ટાફ તમને ઝ નાસ લેવડાવે. દર્દીઓની આવી નાની-નાની બાબતોની કાળજી કોઈ મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં પરંતુ સમરસ કોવિડ કેર સેન્ટરમાં લેવાઇ રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની નિસ્વાર્થ સેવા થકી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા કાર્યરત આરોગ્યકર્મીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.
સમરસ કેર સેન્ટર ખાતે ૭ દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત ફરેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે, ” સૌપ્રથમ મારા પપ્પાને કોરોના થયો એટલે અમે સૌએ પણ ટેસ્ટ કરાવ્યા અને મારો અને મમ્મીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. સમરસ સંકુલ ખાતે સારવાર લીધા પછી હું દ્રઢપણે કહું છું કે, જે લોકો એવું વિચારે છે કે સરકારી હોસ્પિટલ હશે તો સારી સારવાર નહીં મળે એ વાતને સમરસ કોવિડ કેર સેન્ટર તદ્દન ખોટી સાબિત કરી રહ્યું છે. સમરસ ખાતેથી શ્રેષ્ઠ અને સંતોષકારક સારવાર મેળવી આજે અમે ત્રણેય લોકો કોરોનામુક્ત બન્યાં છીયે.”
સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ” જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર મેળવવા સક્ષમ નથી તેઓ માટે આ સ્થળ અને અહીં મળતી સારવાર ઉત્તમ છે, જ્યાં તમામ આરોગ્યકર્મીઓ દર્દીઓને પોતાનાં પરિવારજનોની જેમ સાચવે છે. અહીં જમવામાં, દવામાં કે અન્ય કોઈપણ બાબતમાં ગુણવત્તાનું બરાબર ધ્યાન રાખવામાં આવે છે અને દર્દીઓની કોઈપણ સમસ્યાનું ત્વરિત સમાધાન કરવામાં આવે છે. કોવિડ-૧૯ ના પ્રકોપ વચ્ચે લોકોને સાજા કરવા સરકાર તરફથી જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ખરેખર પ્રસંશનીય છે.”
સંજયભાઇના પિતા અશ્વિનભાઈ અને માતા સંગીતાબેન પણ કોરોનાને હરાવી હાલ પોતાનાં ઘરે પરત ફરી ચૂક્યાં છે.