Sunday Cycling: કોરોનાકાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલીંગ અભિયાન
“વિશ્વ સાયકલ દિવસ”
Sunday Cycling: સાયકલીંગ ગ્રુપ બનાવીને છેલ્લા એક વર્ષથી રોજ ૩૦ કિ.મી. કરે છે સાયકલીંગ
- એક જ વર્ષમાં ૬૦ હજાર કિ.મી.થી પણ વધારે સાયકલીંગ કર્યું
અહેવાલ: નિતિન રથવી
સુરેન્દ્રનગર, ૦૨ જૂન: Sunday Cycling: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે. જેમ કે, કેટલાક લોકોએ સવારે ચાલવાનું તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલીંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરુ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આવા જ એક નગર ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડે કોરોનાના કપરા સમયમાં સાયકલીંગના માધ્યમથી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવવા અદકેરૂં કાર્ય કરી રહયાં છે.
ગત વર્ષે જયારે એક બાજુ દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર બોલાવ્યો હતો અને સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવેલું, ત્યારે શાળાઓ બંધ હોવાથી ઘણા કિશોર કિશોરીઓને મોબાઇલને જ દિવસ પસાર કરવાનું સાધન બનાવી લીધું હતું. આવા કપરા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના આશરે ૭૦ થી ૮૦ હજારની વસ્તી ધરાવતા ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી કિશોર-કિશોરીઓએ અનલોક થતા જ મે-૨૦૨૦ માં “Sunday Cycling” ના નામથી એક મોર્નિંગ સાયકલીંગ ગ્રુપ શરૂ કર્યું. ફક્ત પાંચથી છ વ્યક્તિઓથી શરુ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ ૬૫ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. શરૂઆત માં ફક્ત રવિવારના દિવસે જ સાઈકલિંગ કરતાં આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવાર ને બદલે દરરોજ સાઈકલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
આ બાબતે વાત કરતા આ જ ગ્રુપના એક સભ્ય ડૉ.નિલેશ સંઘવી જણાવે છે કે, ધ્રાંગધ્રા શહેરમાં ભાવેશભાઈ મારવી દ્વારા શરુ કરાયેલા આ સાયકલીંગ ગ્રુપની (Sunday Cycling) ખાસિયત એ છે કે, આ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે, આ સાયકલીંગ ગ્રુપમાં ૧૦ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલીંગ કરવા આવે છે, તેમજ રોજ સાથે સાયકલીંગ કરતા કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે.
ડૉ. ભાવેશ પટેલ આ ગ્રુપની સિદ્ધિઓ વિષે વાત કરતા કહે છે કે, અમે સાયકલીંગ (Sunday Cycling)કરવાની સાથે કેટલીક સાયકલીંગને લગતી ઇવેન્ટમાં પણ ભાગ લઇએ છીએ. જે પૈકી ગતવર્ષે કોરોના કાળમાં બે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં અમે ભાગ લીધો હતો. પહેલી ઇવેન્ટમાં જ્યાં ૧૦૦ કિલોમીટર સાયકલીંગ કરવાનો ટાર્ગેટ હતો, ત્યાં અમારા ગ્રુપના ૪૫ સભ્યો દ્વારા માત્ર સાત જ કલાકમાં આ અંતર કાપી ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો હતો, જયારે બીજી દાંડીયાત્રા સાયકલીંગ ઇવેન્ટમાં અમારા ગ્રુપના ૬૫ જેટલા સભ્યોએ ૩૮૫ કિલોમીટર સાયકલીંગ કર્યું હતું.
આ જ સાયકલીંગ ગ્રુપના ૧૯ વર્ષિય યુવા સાયકલવીર પરમ વ્યાસે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન થયા બાદ હું દિવસ પસાર કરવા આખો દિવસ ફોન લઈને બેસી રહેતો અને ગેમ રમતો રહેતો. આ સમય દરમિયાન મેં મારા શરીરના વજનમાં પણ ઘણા ફેરફાર થતા જોયા, ત્યારે એક દિવસ સોશ્યલ મીડિયાના માધ્યમથી મને આ ગ્રુપ વિષે જાણવા મળ્યું અને ત્યારબાદ હું પણ આ (Sunday Cycling) ગ્રુપમાં જોડાયો. છેલ્લા છ મહિનાથી હું આ ગ્રુપનો સભ્ય છું. આ ગ્રુપના સભ્યો એક મહિના માટે તેમના સાયકલીંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરતા હોય છે, જેમાં લોકો એક જ મહિનામાં વ્યક્તિગત એક હજારથી પણ વધારે કિલોમીટર સાયકલીંગ કરવાનો ટાર્ગેટ રાખતા હોય છે. મે પોતે પણ મે મહિનામાં ૮૦૦ કિલોમીટરથી પણ વધુ સાયકલીંગ કર્યું હતું.
એક બાજુ જયારે દેશમાં કોરોના મહામારી વચ્ચે લોકો તેમના સ્વાસ્થ્યને લઇ ચિતામાં છે ત્યારે ધ્રાંગધ્રાના કિશોર કિશોરીઓના જીવનમાં સાયકલિંગે એક નવા સૂર્યનો ઉદય કર્યો છે. આજે “વિશ્વ સાયકલ દિવસ” (Sunday Cycling) નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો.