Sayaji hospital ward

Sayaji Hospital: કોવિડની બીજી લહેરમાં સયાજી હોસ્પિટલનું આઇસીયુ સહિતનું ટ્રાયેજ જીવન રક્ષક બન્યું

Sayaji Hospital: ૧૬૫૦ થી ૧૭૫૦ જેટલા લોકોના જીવન ટ્રાયેજમાં મળેલી જીવન રક્ષક સારવારથી બચ્યા

  • ટ્રાયેજમાં ઉપલબ્ધ ઓકસીજનની અને વેન્ટિલેટરની સુવિધાથી વોર્ડમાં ભારણ ઘટયું
  • લોબીમાં આઠ જેટલા ઓકસીજન પોઇન્ટ મૂકી ઓકસીજનની જરૂર વાળા દર્દીઓને આવતાની સાથે જ સારવાર આપી શકાઈ

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૦૭ જૂન:
Sayaji Hospital: ટ્રાયેજ એટલે ક્વિક રિસ્પોન્સ સેન્ટર અથવા તાત્કાલિક સારવારની વ્યવસ્થા.સયાજી હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ લહેર જ્યારે આથમી રહી હતી ત્યારે ઓકટોબરમાં કોવિડ ટ્રાયેજની સુવિધા શરૂ કરવામાં આવી.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની આ દૂરંદેશી ઘોડાપૂર જેવી કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ નિર્ણાયક અને જીવન રક્ષક બની. એક અંદાજ પ્રમાણે આ સુવિધાને લીધે ઓકસીજન અને વેન્ટિલેટર સહિતની જે તાત્કાલિક સારવાર દર્દીઓના આગમનની સાથે જ ટ્રાયેજમાં મળી તેના પરિણામે અંદાજે ૧૬૫૦ થી ૧૭૫૦ દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની.

ટ્રાયેજ એટલે તાત્કાલિક સારવારની વ્યવસ્થા એવી જાણકારી આપતાં સયાજી હોસ્પીટલ (Sayaji Hospital)ના કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે આ વ્યવસ્થાથી કોવિડના શંકાસ્પદ લક્ષણો સાથે આવતા દર્દીઓને પ્રથમ તો જરૂરી તાત્કાલિક સારવાર આપી શકાય છે અને જરૂરી ટેસ્ટના આધારે જો દર્દી કોવિડ પોઝિટિવ જણાય તો કોરોના વિભાગમાં અને જો નેગેટિવ હોય તો અન્ય સંબંધિત વિભાગમાં સારવાર માટે મોકલી શકાય છે. આ વ્યવસ્થાને લીધે નેગેટિવ દર્દીને બિન જરૂરી રીતે કોવિડ વોર્ડના સંક્રામક વાતાવરણમાં જતા અટકાવી શકાય છે.

ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ઓકટોબર- ૨૦ માં કોરોના પીડિતોને તાત્કાલિક સારવાર મળી શકે એવું ટ્રાયેજ સયાજી હોસ્પિટલ (Sayaji Hospital)માં કોરોના સારવારના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું ત્યારે પ્રથમ લહેર સમાપન ની સમીપ હતી.તેની યાદ અપાવતા ડો. બેલીમે જણાવ્યું કે તે સમયે ૫ વેન્ટિલેટર, ૫ મોનીટર, ૨ ઓકસીજન કોનસનટ્રેટર, ૨ ડી ફિબ્રીલેટર અને ઓકસીજન ટાંકી સાથે સંલગ્ન નિરંતર ઓકસીજન પુરવઠાની સુવિધા સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સુવિધા શરૂઆતથી જ અદ્યતન અને જરૂરી સુવિધા સંપન્ન હતી અને પ્રથમ લહેરમાં અંદાજે ૩૦૦ થી વધુ દર્દીઓને તેની મદદથી પ્રાથમિક તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

Sayaji Hospital: આ ટ્રાયેજ ખાતે ઉપરોક્ત જીવન રક્ષક સુવિધાઓની સાથે ચોવીસે કલાક નિષ્ણાત તબીબો, નિવાસી તબીબો, તબીબી અઘિકારીઓ, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ સહાયકો, સેવકો,સફાઈ સેવકો,સિક્યુરિટી જેવી તમામ વ્યવસ્થાઓની કાળજી લેવામાં આવી હતી. આ સુવિધાની અનિવાર્ય ઉપયોગીતા તો બીજા વેવમાં પુરવાર થઈ જ્યારે વાવાઝોડા તાઉ’તે ની ઝડપે અને આક્રમકતા સાથે કેસો વધ્યા.અત્યારે કહી શકાય કે આ સુવિધા વગર એકાએક ખૂબ વધી ગયેલી દર્દી સંખ્યાની સ્થિતિમાં સહુને જરૂરી જીવન રક્ષક તાત્કાલિક સારવાર ભાગ્યે જ શક્ય બની હોત.

બીજો વેવ ટોચ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જ ડો.રાવે ખૂબ જ દુંરદેશી સાથે બે દિવસમાં ટ્રાયેજની સાથે જ નાના આઇસીયુની સુવિધા જોડી હતી. ટ્રાયેજના મૂળ ૨૨ બેડ માંથી ૧૫ જેટલા બેડને આઈસીયુમાં ફેરવી ૧૫ વેન્ટિલેટર,૧૫ મોનીટર,૧૫ ઓકસીજન કોન સેન્ટ્રેટર,૨૦ જેટલા જમ્બો સિલિન્ડર અને વધારાની માનવ સંપદાની વ્યવસ્થાને પગલે ગંભીર હાલતમાં આવતા દર્દીઓ ને પણ તાત્કાલિક જરૂરી સારવાર આપવી શક્ય બની હતી.

જ્યારે દર્દીઓનો પ્રવાહ ખૂબ જ વધ્યો ત્યારે ટ્રાયેજ અને ઓપીડી વચ્ચેની લોબીમાં પણ આઠ જેટલા ઓકસીજન પોઇન્ટ મૂકી,વધારાના ઓકસીજન કોન્સેંટ્રેટરની વ્યવસ્થા કરી સહુને સારવાર આપવાની કાળજી લેવામાં આવી.જરૂર હોય તેવા દર્દીઓને સ્ટ્રેચર પર અને ખુરશીમાં બેઠા બેઠા ઓકસીજન સારવાર આપી સ્ટેબલ કરીને તેમના જીવ બચાવવામાં આવ્યા. આ વ્યાપક વ્યવસ્થાઓને લીધે અન્ય સ્થળોએ જ્યારે દર્દીઓનું આગમન અટકાવવા દરવાજા બંધ કરવા પડ્યા ત્યારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અગમચેતીના લીધે આવી પરિસ્થિતિ ટાળી શકાઈ.બીજા વેવમાં ૧૮૮૪ જેટલા દર્દીઓને આ સુવિધાનો લાભ મળ્યો અને હજુ મળી રહ્યો છે.

આ પણ વાંચો…health tips: ચા સાથે ભૂલીથી પણ નાસ્તામાં આ વસ્તુઓનો સેવન ન કરવું…!

કેટલાક દર્દીઓને તો ૧૫ થી ૨૦ દિવસ ટ્રાયેજમાં જ રાખીને પછી ઓકસીજન સાથે વોર્ડમાં ખસેડતા.અહી જ વેન્ટિલેટર સારવાર આપવાના પરિણામે વોર્ડના વેન્ટિલેટર અન્ય ગંભીર દર્દીઓને સુગમતાથી ફાળવી શકાયા. અહી કાર્યરત તબીબો અને સ્ટાફે દિવસો સુધી સતત ચોવીસે કલાક વારાફરતી કાર્યરત રહીને સલામને પાત્ર સમર્પિત સેવાઓ આપી જે ભૂલી ન શકાય. આ સેન્ટર અગ્નિ શમનની જરૂરી આધુનિક વ્યવસ્થાઓથી સુસજ્જ છે અને એન. ઓ. સી. પણ ધરાવે છે.

હાલમાં આ સ્થળે નિરાંતનું વાતાવરણ છે કારણ કે દર્દી સંખ્યા ખૂબ ઓછી છે. આજે આખા કોરોના વિભાગમાં ૧૨૫ જેટલા દર્દીઓ છે. ભગવાન ભલું કરે અને ત્રીજી લહેર ન આવે, પણ જો આવે તો પણ સાધન સુવિધા સુસજ્જ આ ટ્રાયેજ દર્દીઓના જીવન સુરક્ષિત રાખવામાં ખૂબ જ નિર્ણાયક બનશે.