Ganga swarupa 2

નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય

સુરત જિલ્લામાં દર મહિને રૂા.૧૨૫૦ લેખે ૩૬૩૮૪ વિધવા બહેનોને રૂા.૪.૫૪ કરોડનું પેન્શન મળે છે

સુરત જિલ્લામાં ઓકટોબર-૨૦૨૦માં ૩૬૩૮૪ ગંગા સ્વરૂપા બહેનોને એરીયર્સ સાથે રૂા.૮.૫૮ કરોડની સહાય આપવામાં આવી

સુરત, ૨૧ નવેમ્બર: ગંગા સ્વરૂપા વિધવા બહેનોને રાજય સરકાર દ્વારા મહિને ગંગાસ્વરૂપ સહાય યોજના હેઠળ રૂા.૧૨૫૦ની પેન્શન સહાય આપવામાં આવે છે. ગરીબ વિધવાઓને આર્થિક સહાય મળવાથી સધિયારો મળી રહે છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ યોજનામાં સુધારો કરીને ૨૧ વર્ષના પુત્ર હયાત હોય તો પણ આવી બહેનોને આર્થિક સહાય આપવાના ઐતિહાસિક નિર્ણયના પરિણામે રાજયની લાખો મહિલા ફરી પેન્શન મેળવતી થઈ છે.

whatsapp banner 1

સુરત જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કુ.શ્વેતા દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ઓકટોબર-૨૦૨૦માં ૩૬૩૮૪ ગંગા સ્વરૂપા બહેનોને રૂા.૧૨૫૦ની માસિક સહાય રૂ.૪.૫૪/- કરોડ અને જે પૈકીના ૫૬૪૦ લાભાર્થીઓને એરિયર્સ રૂ.૪.૦૪/- કરોડ સહિત કુલ રૂા.૮.૫૮ કરોડની સહાય ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ૨૧ વર્ષની હયાત પુત્રની મર્યાદા માર્ચ-૨૦૧૯ બાદ દૂર કરાતાં લાખો મહિલાઓને આજીવન પેન્શન મળતુ થયું છે. માર્ચ-૨૦૧૯માં સુરત જિલ્લામાં માત્ર ૧૨૫૬૦ જ વિધવા બહેનો પેન્શન મેળવતી હતી. ત્યાર બાદ યોજનામાં સુધારો થતા ઓકટોબર-૨૦૨૦ મહિનાના અંતે ૩૬૩૮૪ મહિલાઓ પેન્શન મેળવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય અમોને ધણી જ મદદરૂપ બની છેઃ ઝરીનબાનુ ગુલામોદ્દીન પટોલા
નાનપુરા વિસ્તારના માછીવાડમાં રહેતા ગંગા સ્વરૂપ ૪૮ વર્ષીય બહેન ઝરીનબાનુ ગુલામોદ્દીન પટોલા જણાવે છે કે, મને છેલ્લા આઠ વર્ષથી રાજ્ય સરકારની ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ દર માસે નિયમિત રીતે પેન્શન મળે છે. આ પેન્શનથી ઘરનું ગુજરાન ચલાવવામાં સધિયારો મળી રહે છે. મારા પતિનું અવસાન થયા બાદ મને ઘર ચલાવવામાં ધણી મુશ્કેલીઓ પડતી હતી. મારે એક ૧૮ વર્ષનો પુત્ર તથા પુત્રથી નાની ત્રણ નાની દીકરીઓ છે. આ યોજના થકી મને દરે મહિને રૂા.૧૨૫૦ મળી રહે છે. આ સહાય ઘરના નાના-મોટા ખર્ચમાં ધણી મદદરૂપ થાય છે. સરકાર પણ પેન્શનની સહાયમાં પણ ઉત્તરોત્તર વધારો કરીને નિરાધાર વિધવાઓની આધારસ્તંભ બની છે. ૨૧ વર્ષનો પુત્ર થાય એટલે પેન્શન બંધ થઈ જતી હતી પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદશીલ નિર્ણય થકી લાખો મહિલાઓને આજીવન પેન્શન મળતું થયું છે જે બદલ મુખ્યમંત્રીનો ઝરીનબાનુએ ખુબ ખુબ આભાર માન્યો હતો.

યોજનામાંથી મળતી રકમ દીકરીઓના શિક્ષણ ખર્ચમાં સહાયરૂપ બની – વનિતાબેન છુલા
શહેરના માછીવાડ ખાતે રહેતા વનિતાબેન છુલા કહે છે કે, મને દર મહિને યોજના થકી રૂા.૧૨૫૦ ની સહાય મળે છે. દસ વર્ષ પહેલા મારા પતિ મહેશભાઈ છુલાનું અવસાન થતા પરિવારની જવાબદારી મારા પર આવી હતી. મારે સંતાનમાં મારી બે દીકરીઓ છે. આર્થિક રીતે પગભર થવા માટે મે ઘરની નજીક આવેલા એક ક્લિનિકમાં પાર્ટટાઈમ નોકરી કરવાની શરૂ કરી અને બાકીના સમયમાં ઘરમાં સિલાઈકામ પણ કરું છું. આ દરમિયાન મને મારી એક બહેનપણી દ્વારા વિધવા સહાય યોજના વિશે જાણવા મળ્યું, જેથી મેં આ યોજનાનું ફોર્મ ભર્યું. જેથી છેલ્લા આઠ વર્ષથી મને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. યોજનામાં મળતી રકમ મારી દીકરીના શિક્ષણના ખર્ચમાં સહાયરૂપ સાબિત થઈ છે. વિધવા બહેનોની દરકાર કરવા બદલ વનિતાબેને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.