જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓના મૃત્યુના આંકડા છુપાવાતા હોવાની રાવ સાથે વિપક્ષો મેદાને
ખંભાળિયાના ધારાસભ્ય તથા વિરોધપક્ષના નેતા સહિતના કોર્પોરેટર વગેરેએ આદર્શ સ્મશાનની લીધી મુલાકાત
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૯ સપ્ટેમ્બર: જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમા કોરોના ના દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે. જોકે કોરોના ના દર્દીના મૃત્યુ ના આંકડા હોસ્પિટલના તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા નથી. જે મામલે વિપક્ષોએ હોબાળો મચાવ્યો છે, અને હોસ્પિટલના તંત્રની બેદરકારી છતી કરવા તેમજ મૃત્યુના આંકડાઓને ઉજાગર કરવા માટે આદર્શ સ્મશાન ની મુલાકાત લીધી હતી, અને કોરોના ના દર્દી ના મૃત્યુ અંગે ના આંકડા સંબંધી માહિતી એકત્ર કરી હતી.
જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના ના કારણે દરરોજ આઠથી દસ દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ અને નોન કોવિડ ના બહાના હેઠળ મૃત્યુના દર્દીઓના નામ જાહેર કરાતા નથી, અથવા તો આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. જેથી લોકો સુધી સત્ય હકીકત પહોંચી શકતી નથી.
હોસ્પિટલ તંત્રની બેદરકારી અંગે તેમજ કોરોના ના દર્દીઓ ના આંકડા ની સાચી માહિતી ને ઉજાગર કરવા માટે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, સ્મશાન માટે અવાજ ઉઠાવનારા કોર્પોરેટર દેવશી ભાઈ રાઠોડ, તથા અન્ય કોંગી અગ્રણીઓ અને કોર્પોરેટર વગેરે આદર્શ સ્મશાનમાં પહોંચ્યા હતા
સ્મશાન વ્યવસ્થા કમિટી ના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જામનગરના આદર્શ સ્મશાન માં કોરોના ના દર્દીઓ ની અંતિમ વિધિ કઈ રીતે થાય છે, અને તેના માટેનો શું અલગ સમય હોય છે, ઉપરાંત દરરોજ કેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓ ની અંતિમવિધી કરવામાં આવે છે. તે તમામ વિગતો બાબતે ચર્ચા કરી હતી અને જરૂરી આંકડાકીય માહિતી પણ એકત્ર કરી હતી.