સુરેન્દ્રનગર ખાતે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરાયું
સુરેન્દ્રનગર ખાતે પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરાયું
સુરેન્દ્રનગર, ૧૨ નવેમ્બર: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રી ફ્લેગ આપી દસ ગામ દીઠ એક ફરતું દવાખાનાની બે મોબાઈલ પશુ વાનને લીલી ઝંડી આપી હતી.
આ પ્રસંગે પ્રાસંગીક ઉદ્દબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દસ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરી એક નવી પહેલ કરવામાં આવી છે. પશુઓને લગતી સારવાર નિઃશુલ્ક રહેણાંકના સ્થળે જ મળી રહે તે માટે ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું એટલે કે, GVK EMRI યોજના અમલી બનાવાઈ છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ ૬ મોબાઈલ પશુ વાહન આપવામાં આવ્યા હતા. જ્યારે આજરોજ વધુ ૨ મોબાઈલ પશુ વાહનો આપતા હાંલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૮ જેટલા મોબાઈલ પશુ વાહનની સુવિધા ઉપલબ્ધ બની છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પશુપાલકોને તેમના પશુઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ જાહેર કરવામાં આવેલ છે. જેના ઉપર કોલ કરવાથી પશુપાલકોનાં પશુઓ માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બનશે અને પશુસંવર્ધન તથા વિસ્તરણ સારી રીતે કરી શકાશે.
આ પ્રસંગે સંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યસભાના પૂર્વ સંસદશ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્યો સર્વશ્રી ધનજીભાઈ પટેલ અને પુરષોત્તમભાઈ સાબરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા, અગ્રણી સર્વશ્રી ભાસ્કરભાઈ, સુરેશભાઈ, આંબાભાઈ, સતીષભાઈ, પશુપાલન અધિકારીશ્રી અને GVK ની ટીમ ઉપસ્થિત રહી હતી.