આગામી અઠવાડીયામાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

img 20200714 wa00453753547095768294587
વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી

વન વિભાગ દ્વારા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન : ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ શરુ

રાજ્યના તમામ તાલુકામાં ૧ મીમી થી ૧૩૩૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો : રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ

ગાંધીનગર,૧૪ જુલાઈ ૨૦૨૦

રાહત કમિશનર અને અધિક સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર સુશ્રી ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીશ્રીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર શ્રી પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.૧૪/૭/૨૦૨૦ સુધીમાં ૨૬૯.૮૭ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૩૨.૪૮% છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૧૩૩૭ મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં તા.૧૭ થી ૨૩ જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૫૭.૩૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૭/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૪૮.૭૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૭.૫૮% વાવેતર થયુ છે.

વન વિભાગ દ્વારા આ બેઠકમાં માહિતી આપતા જણાવાયુ હતુ કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન આયોજન છે જે અંતર્ગત ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ કાર્યરત છે.

આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.

રિપોર્ટ:દિલીપ ગજ્જર ,માહિતી વિભાગ ગાંધીનગર