Mann ki baat: વડોદરા સેન્ટ્રલ જેલના કેદી બંધુઓએ પ્રથમવાર સાંભળી પ્રધાનમંત્રીની ” મન કી બાત”
રેડીઓ પ્રીઝન લાઈવ બન્યું માધ્યમ
ગયા રવિવારે (Mann ki baat) તેની ૭૫ મી કડી નું પ્રસારણ થયું હતું જે જેલ કેદીઓ પણ સાંભળી શક્યા હતા.
વડોદરા, ૩૦ માર્ચ: Mann ki baat: વડોદરા સેન્ટ્રલ જેલના કેદી બંધુઓ અને જેલની ચાર દીવાલો વચ્ચે ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગત રવિવાર અનોખો બની રહ્યો હતો. આ દિવસે સહુએ પ્રધાનમંત્રી ના ” મન કી બાત” (Mann ki baat) કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. યાદ રહે કે વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આકાશ વાણીના માધ્યમ થી આ કાર્યક્રમ દ્વારા દેશ સાથે જોડાય છે.
ગયા રવિવારે (Mann ki baat) તેની ૭૫ મી કડી નું પ્રસારણ થયું હતું જે જેલ કેદીઓ પણ સાંભળી શક્યા હતા.પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દ્વારા લોકો સાથે સમાજ અને રાષ્ટ્ર ઘડતરના નવીન વિચારો રજૂ કરવાની સાથે પહેલરૂપ વિકાસના પ્રવાહોની, અદના આદમીઓના સમાજ અને દેશને ઉપયોગી,પર્યાવરણ સંરક્ષક, જળ સંરક્ષક, શિક્ષણ અને સમાજ સુધારણા તેમજ નારી સશક્તિકરણ વિષયક પ્રયોગોની ચર્ચા કરે છે અને દેશને આ પ્રવાહો સાથે જોડાવાની દિશા દર્શાવે છે. રેડીઓ પ્રિઝન લાઈવ જેને જેલની પોતાની આકાશવાણી કહી શકાય એવી અનોખી વ્યવસ્થા હેઠળ આ કાર્યક્રમનું કેદીઓ માટે લાઈવ પ્રસારણ શક્ય બન્યું હતું.
નોંધ લેવી ઘટે કે ગુજરાત રાજ્યની જેલ ઓથોરિટી દ્વારા કેદી કલ્યાણની નવતર પહેલરૂપે બ્રોડકાસ્ટીંગ ટેકનોલોજીનો વિનિયોગ કરીને આ વર્ષની ૩જી માર્ચે ઉપરોક્ત એફ.એમ.રેડીઓ પ્રસારણ સુવિધાનો જેલ પરિસરમાં પ્રારંભ કરવામાં આવ્યો જે રાજ્યની જેલોનુ ચોથું રેડીઓ સ્ટેશન હતું.તેના સંચાલનમાં કેદીઓને ભાગીદાર બનાવવામાં આવ્યાં છે.
તેનો હેતુ અંતેવાસીઓને ભજનો, ગીતો, લોકગીતો, પ્રવચનોના શ્રવણની તક આપી, સુધારણાના પ્રયાસોને વેગ આપવાનો છે. આ વ્યવસ્થા કેદીઓને રેડીઓ જોકી બની પ્રસારણના સંચાલન અને પોતાની કળા અને વિચારો રજૂ કરવાની ખૂબ સુંદર તકો આપે છે. આ વ્યવસ્થા હેઠળ પ્રધાનમંત્રીનો ખૂબ લોકપ્રિય બનેલો કાર્યક્રમ લાઈવ શ્રવણ કરવાની તક મળતાં કેદી બંધુઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.જેલ સ્ટાફ પણ તેમની સાથે પ્રસારણ શ્રવણમાં જોડાયો હતો.