GG Hospital Jamnagar Corona warriors

સરકારી હોસ્પિટલની વિનામૂલ્યે સારવારના બદલે જો ખાનગી હોસ્પટલમાં સારવાર લીધી હોત તો મોટી રકમ ચૂકવવી પડી હોત: નર્સ કપિલ વજાણી

જી.જી. હોસ્પિટલના કોરોના વોરિયર

સંકલન: પારુલ આડેસરા,જામનગર

જામનગર, ૦૪ ડિસેમ્બર: દર્દીઓની સારવાર કરતાં ડોકટરોની સાથો સાથ કામ કરતી નર્સિંગ સ્ટાફ પણ મહત્વની કામગીરી કરતા હોય છે. માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર કરતા નર્સો પૈકી ૮૮ નર્સિંગ સ્ટાફ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ સૌ નર્સો કોરોનાને હરાવીને ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવારમાં લાગી ગયા છે.

whatsapp banner 1

આ ૮૮ નર્સીસ સ્ટાફ પૈકી ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં ૨૩ નર્સિંગ સ્ટાફે સારવાર લઇને કોરોના મુકત બન્યા હતા. જે પૈકી બે નર્સોનું અવસાન થયું હતું. જે પૈકીના એક દર્દી કોરોનાગ્રસ્ત – પોઝીટીવ હતા અને અન્ય બીજા એક સસ્પેકટેડ (નેગેટિવ રિપોર્ટ)-કોરોનાના લક્ષણો ધરાવતા હતા. તેમ ગુરૂગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના આસીસ્ટંટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડ ભાનુબેન રાઠોડે જણાવ્યું હતું.

ભાનુબહેન પોતે પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. પોતાના અનુભવો વિશે કહેતા તેઓ કહે છે કે, નર્સની ફરજના ભાગરૂપે અમે કોરોનાના દર્દીઓની સાથે જ સારવાર માટે રહેતા હોઇએ છીએ. જેમાં મને પણ કોરોના લક્ષણો દેખાતા હું પણ કોરન્ટાઇન થઇ ઉત્તમ સરકારી સારવાર મેળવીને ફરી ફરજ ઉપર લાગી ગઇ છું. તો અન્ય એક કોરોના વોરિયર કપિલ વજાણી કે જેઓ પણ ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં છૈલ્લા ૨૦ વર્ષથી સ્ટાફ નર્સ છે તેઓ માહિતી ખાતાની ટીમને કહે છે કે હું પણ કોરોનાના દર્દીનારાયણોની સેવા કરતા કરતાં ગયા સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બની ગયો હતો. અને આ જ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ ફરી ફરજ બજાવી રહયો છું. આ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ડોકટરોની ૨૪ કલાક સારવાર- નિરિક્ષણના કારણે હું ઝડપથી સાજો થઇ શકયો છેં. જો મે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી હોત તો આવી સુંદર સારવાર મળી શકી હોત કે કેમ તે અકે સવાલ છે? સરકારી હોસ્પિટલમાં જે ઉત્તમકક્ષાની સારવાર-દવાઓ-ખોરાક- ઇન્જેકશન મને વિનામૂલ્યે મળ્યા હતા તે સારવાર માટે મારે ખાનગી હોસ્પટલમાં મોટી રકમ ચૂકવવી પડી હોત.

અમારા કોરોના વોરિયરની શ્રેષ્ઠ સારવાર માટે હું અમારી આ હોસ્પિલના તબીબી અધિક્ષક
ડો. દિપક તિવારી, ડો.હેમાંગ વસાવડા, ડો.અજય તન્ના, ડો.ધર્મેશ વસાવડા, ડો.અમરીશ મહેતા, ડો.એ.બી.અગ્રવાલ, અમારી નર્સિંગ સ્ટાફ, હેલ્પર વગેરેના આભારી છીએ. ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના નર્સિગ સ્ટાફ એવા રેણુકા પરમાર તથા ભાવના રાવલ, સુમિત્રા રાઠોડ પણ કોરોનાને મ્હાત આપી કોરોના વોરિયર બન્યા હતા.