Birds Jambughoda 5 2

જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્યમાં પક્ષીઓનો અડ્ડો

જાંબુઘોડા અભયારણ્ય વિશેષ

૧૩૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ ભુભાગમાં ફેલાયેલા જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્યમાં ૧૮૦ થી વધારે જાતિ અને પ્રજાતિઓના પક્ષીઓનો અડ્ડો

Birds Jambughoda 4

પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ ધનપુર દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકા પક્ષીઓનો પરિચય,જીવન શૈલી અને પક્ષીદર્શન

વન્યજીવ છબિકાર ડો.રાહુલ ભાગવત

પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ ધનપુર દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં વન્યજીવ છબિકાર ડો.રાહુલ ભાગવતે અહી જોવા મળતા પક્ષીઓનો પરિચય આપવાની સાથે તેમની જીવન શૈલી અને પક્ષીદર્શનની સાચી રીતનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે.


કાળિયા કોશીનો માળો જે સ્થળે જોવા મળે એની આસપાસ બારીકાઇથી નિરીક્ષણ કરવું જોઈએ.કારણકે પીળક,દુધરાજ, નાચણ જેવા પક્ષીઓ કાળીયા કોશીના માળા નજીક પોતાના માળા બાંધે છે એટલે નિરીક્ષણ કરવાથી એ પક્ષીઓ જોઈ શકાય.
ઘણાં પક્ષીઓ સમાગમની ઋતુમાં અલગ રંગ ધારણ કરતાં હોય છે જેને બ્રીડીંગ પ્લુમેજ કહેવાય છે.ઘણી પક્ષી પ્રજાતિઓ અવાજ થી ઓળખી શકાય છે એટલે નિરીક્ષણ ની સાથે અવાજ સાંભળવાની ટેવ પક્ષી દર્શનમાં મદદરૂપ બને છે.

વન્ય જીવ છબીકાર ડો.રાહુલ ભાગવત પાંખાળા દેવદૂત જેવા પક્ષીઓના જીવનની વિવિધ ખાસિયતો ના ઊંડા અભ્યાસી છે.ઉપરોક્ત જાણકારી તેમણે તાજેતરમાં પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ,ધનપુરી દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં આપી છે. તેમણે વડોદરા વન્ય જીવ વિભાગના દિશા નિર્દેશો હેઠળ આ અગાઉ રતનમહાલ ની પક્ષી સમૃદ્ધિ ને લગતી માર્ગદર્શિકા પણ આલેખી છે.


૧૩૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારોને આવરી લે છે.જૂની વાત યાદ કરીએ તો વડોદરાના જાણીતા પર્યાવરણવિદ સ્વ. ડો.ગુણવંત ઓઝા અને જાંબુઘોડાના પૂર્વ રાજવીએ આ જંગલને અભયારણ્ય જાહેર કરાવવા માટે ખૂબ અભ્યાસપૂર્ણ રજૂઆતો કરી હતી.


ડો.રાહુલ આ અભયારણ્ય ને કુદરત દ્વારા મધ્ય ગુજરાતને મળેલી અદભૂત ભેટ તરીકે મૂલવે છે.વન સંપદા ની દ્રષ્ટીએ સૂકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ ૧૮૦ થી વધુ જાતિ પ્રજાતિના પક્ષીઓનું નિવાસ સ્થાન કહો કે અડ્ડો છે. અહીં સ્થાનિક અને યાયાવર,બંને પ્રકારની પક્ષી વિવિધતા જોવા મળે છે જેમાં દુધરાજ, પીળક, તુઈ અને સુડો પોપટ,બુલબુલ, વૈયા,માછીમાર ઘુવડ અને વિવિધ પ્રકારના ઘુવડ નો સમાવેશ થાય છે.

Birds Jambughoda 6

જાંબુઘોડા અભયારણ્ય

વડોદરા શહેર થી દોઢ કલાક એટલે કે અંદાજે ૭૦ કિલોમીટર ના અંતરે આવેલું આ અભયારણ્ય કુદરત ના ખોળે વિહરવાની ઉત્તમ તક આપે છે.જો કે ચોમાસામાં અહી પ્રવાસીઓનો પ્રવેશ નિષેધ હોય છે. એ સિવાયની મોસમમાં કુદરતના આ લીલા ખજાનાને વન વિભાગની પરવાનગી થી માણી શકાય છે.


બિલાડી કુળનું માંસાહારી પ્રાણી દીપડો આ જંગલનું મુખ્ય પ્રાણી છે.આ ઉપરાંત અહીરીંછ,ઝરખ, વણીયર,તાડ વણીયર, શાહુડી, ઘોરખોદિયું,શિયાળ,ચોશિંગા,નીલગાય અને જંગલી ભૂંડ,ચામાચીડિયાં અને સસ્તન વર્ગના પ્રાણીઓ,વિવિધ પ્રકારના સાપ સહિતના સરીસૃપો,પતંગિયા,કીટકો,કરોળિયા વસવાટ કરે છે.આમ,જીવ વિજ્ઞાનના અભ્યાસની વિશદ તકો આ જંગલ આપે છે.

ડો.ભાગવત બહુ સૂચક રીતે પક્ષી દર્શનની રીત સમઝાવતા કહે છે કે પક્ષીઓ જોવા જતા સાથે એક જોડીદાર હોય તો વધુ સારું.પણ બે થી વધુ વ્યક્તિઓ હોય તો ટોળું બની જાય અને નિરીક્ષણ ની મઝા બગડે.કપડાં પણ ભપકાદાર ન પહેરતા આસપાસના પરિસર સાથે એકરૂપતા સધાય તેવા પહેરવા.


આ માર્ગદર્શિકા ના આલેખનમાં વડોદરા વન્ય જીવ વિભાગના વન સંરક્ષક આરાધના સાહુ,નાયબ વનસંરક્ષક બી. આર.વાઘેલા,મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી ના માર્ગદર્શનને તેઓ બહુમૂલ્ય ગણાવે છે અને વિશેષ યોગદાન માટે નિશા ભાગવત અને ક્ષેત્રીય વન કર્મચારીઓને બિરદાવે છે.

અહેવાલ:સુરેશ મિશ્રા,વડોદરા