Rajkot Corona Hospital 7

કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ:મુખ્યમંત્રીશ્રી

રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ  રહ્યું છે -કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે મેટ્રોસિટીમાં નહી જવુ પડે:નીતિનભાઈ પટેલ

  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં  કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે સઘન  આરોગ્ય  સેવાલક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ
  • રાજકોટમાં ૨૦૦ બેડની અદ્યતન  સુવિધા ધરાવતી વધુ એક   કોવીડ  હોસ્પિટલ અને  સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે અદ્યતન રેડિયોથેરાપીની સારવારનો મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રૂપાણીના હસ્તે પ્રારંભ નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈની વિશેષ ઉપસ્થિતિ
  • રાજકોટમાં રાજ્યના  પ્રથમ કોવિડ ઓટોપ્સી સેન્ટર તથા રાજ્યની ફિઝીયોથેરાપી કોલેજમાં પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પલ્મોનરી રીહેબીલીટેશન તાલીમ કાર્યક્રમનું ઈ-લોકાર્પણ

સંકલન:ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ

રાજકોટ, ૦૯ સપ્ટેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટના કોવીડ અને કેન્સરના દર્દીઓના  લાભાર્થે આરોગ્ય સેવા લક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના નાગરિકોને મેડીકલક્ષેત્રે નવા આવિષ્કારો અને સંશોધન થકી અદ્યતન સારવાર આપવાની નેમ વ્યક્ત કરી હતી.                

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હોસ્પીટલ નું  ઓનલાઈન લોકાર્પણ  કર્યું હતું.

આ કાર્યક્રમ સાથે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક સાધન સુવિધાઓથી સજ્જ ૨૦૦ પથારીની કોવિડ હોસ્પિટલ, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કોવિડ ઓટોપ્સી સેન્ટર, રાજ્યની ફિઝીયોથેરાપી કોલેજોમાં પોસ્ટ કોવિડ કાર્ડિયેક  અને પલ્મોનરી રીહેબીલીટેશન  તાલીમ કાર્યક્રમ તેમજ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક લિનિયર એક્સીલિરેટર તથા સિટી સિમ્યૂલેટર મશીનોનુ ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ વેળા એ સ્પષ્ટ કહ્યુ હતું કે,  વૈશ્વિક મહામારીમાં કોરોના સામેની લડાઈમાં ગુજરાત તબિબો અને લોકોના સહકારથી સંક્રમણને ખાળવામાં મહદઅંશે સફળ રહ્યુ છે. કોરોનાની અદ્યતન સારવાર અને નિદાનની વ્યાપક કામગીરીને લીધે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે રોલમોઙલ તરિકે પ્રસ્થાપિત થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લેવાયેલા પગલાની જાણકારી આપી જણાવ્યું હતું કે, ગુજરાતનો રિકવરી રેટ ૮૨ ટકા થયો છે. મૃત્યુ દર પહેલા ૭ ટકા હતો તે ધટીને ૨.૯ ટકા થયો છે જ્યારે પોઝિટીવીટી રેટ ૧૦ ટકામાંથી ધટીને ૩.૫ ટકા થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે એક જ અઠવાડીયામાં ઉભી કરાયેલી ૨૦૦ બેડની અદ્યતન હોસ્પિટલને લીધે હવે કોરોનાના એકપણ દર્દીને સારવારમાં મુશ્કેલી નહી પડે તેમ જણાવ્યું હતું. રાજકોટમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની પણ સગવડતા છે અને ૨૦૨૨ પહેલા એઈમ્સ હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. એટલે આવનારા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર માં  શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળતી થશે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના સંકલન હેઠળ અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદ્શન માં અસરકારક કામગીરી થઈ રહી છે.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત મેડીકલ ક્ષેત્રે સંશોધનમાં અગ્રેસર છે તેમ જણાવીને વધુમાં કહ્યુ કે, રાજકોટમાં શરૂ થયેલા ભારતના બીજા કોવિડ ઓટોપ્સી સેન્ટર થકી કોરોના સંક્રમિત મૃતદેહના અંગો પર થતી અસરને જાણવા તેના પ્રુથ્થકરણ અભ્યાસો થકી નવો માઈલસ્ટોન સાબિત થશે.તેમણે કહ્યું કે રાજકોટ સૌરાષ્ટ્ર નું કેન્દ્ર બિંદુ છે. સૌરાષ્ટ્ર ના અન્ય જિલ્લા ના લોકો અહી સારવાર માટે આવતા હોય છે ત્યારે તેમને કેન્સર જેવા જટિલ રોગ ની સારવાર સરળતા એ મળી રહે તેવા ધ્યેય સાથે  સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ માં અદ્યતન સારવાર  સુવિધા ના મશીન આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા માટે સતત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આધુનિક સુવિધાથી સજ્જ ૨૦૦ પથારીની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને ઉત્તમ સારવાર મળી રહેશે, તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર નિદાન માટે લોકોને અમદાવાદ ખાતે જવું પડતું હતું. હવે રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. પરંતુ હવે લિનિયર એક્સીલિરેટર અને સિટી સિમ્યુલેટર મશીન ઉપલબ્ધ થતા આ આધુનિક મશીનનો લાભ આ પ્રદેશ સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઘરઆંગણે મળશે. કેન્સર ની સારવાર અહી વિના મૂલ્યે કરવામાં આવશે તેમ પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે  કોરોના સંક્રમિત વ્યકિત ના મૃત્યુ બાદ તેના સગા સંબંધી ની અનુમતિ થી કરવા માં આવનાર ઓટોપ્સી તબીબી સંશોધન માટે ઘણી ઉપયોગી બનશે. આ સંશોધનના આધારે અન્યોને નવજીવન બક્ષવામાં મદદ મળશે.

આ ચાર પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે અગ્ર સચિવશ્રી જયંતી રવિએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની દિર્ધ દૃષ્ટિના કારણે કોરોનાના સામે બાથ ભીડવા ૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલની સાથે કેન્સર જેવા ગંભીર રોગ ની સારવાર માટે જરૂરી આધુનિક લીનીયર એક્સીલેટર, બ્રેકીથેરાપી મશીન અને સિટી સિમ્યુલેટર જેવા મશીન ઘણાં ઉપયોગી થશે, ઉપરાંત રાજ્યની તમામ સરકારી ફિઝીયોથેરાપી કોલેજ માં વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપી – પોસ્ટ કોવિડ રિહેબીલીટેશન સેન્ટરની તાલીમ અપાશે. 

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા,મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરી, ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, શાશકપક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, અગ્રણીશ્રી નિતિનભાઈ ભારદ્વાજ,શ્રી કમલેશભાઈ મિરાણી તેમજ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ નોડલ ઓફિસરશ્રી રાહુલ ગુપ્તા, આરોગ્ય નિયામકશ્રી જે.ડી.દેસાઈ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી શ્વેતા ટીઓટીઆ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવાસિયા, ડી.આર.ડી.ઓ.ના નિયામકશ્રી જે.કે.પટેલ, મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધૃવ, ,અને મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો, તબીબો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યામોહને શાબ્દિક સ્વાગત અને કેન્સર હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ અંજના ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.