Gayatri Shakti Peeth: ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’ કાર્યક્રમનો પ્રારંભ
Gayatri Shakti Peeth: ચાલુ હવન કુંડ સાથેની ૧૨ ઉંટ ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વાતાવરણને વિષાણુ મુક્ત કરશે
સમગ્ર દેશને કોરોના મુક્ત કરવાની દિશામાં ગાયત્રી શક્તિપીઠ (Gayatri Shakti Peeth) ની આ અભિનંદનીય પહેલ – રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૧ મે: Gayatri Shakti Peeth: ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના નિયોજનને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત દેશ ગુજરાત તથા આપણું જામનગર આ મહામારીમાંથી મુક્તિ મેળવે તેવા શુભ હેતુસર ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા સમગ્ર શહેરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું આયોજન થઈ રહ્યું છે.
સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલો પણ જણાવે છે કે ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનથી કોરોના વાયરસનો ચેપ બેઅસર બને છે ત્યારે ગાયત્રી પરિવારના તે દિશામાં હાથ ધરાયેલ આ સુંદર આયોજનને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ જામનગરવાસીઓ આ પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર (Gayatri Shakti Peeth) શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક જ દિવસે લોકો પોતાના ઘરે વધુમાં વધુ યજ્ઞ કરે તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા અને હાલની કોરોના મહામારી તથા રોગોના વિષાણુંને નિયંત્રિત કરવા વિજ્ઞાને સ્વીકારેલી આ બાબતથી લોક જાગૃતતા લાવવાના ભાગરૂપે ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા ૧૨ ઉંટગાડી દ્વારા શહેરના ગાંધીનગર, પટેલ પાર્ક, દિગ્જામ ડિફેન્સ કોલોની સહિત તમામ વિસ્તારો માટે જુદા જુદા ત્રણ રૂટનું આયોજન કર્યું હતું અને દરેક ઉંટગાડી પર હવન તથા યજ્ઞ શરૂ રાખી તેની પાવન ધૂમ્રસેરથી લોકોને રક્ષિત કરવાનો નવતર પ્રયાસ કરાયો હતો.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે ગાયત્રી શક્તિપીઠ (Gayatri Shakti Peeth) જામનગરના ટ્રસ્ટીઓ તેમજ સંયોજક સી.પી.વસોયા તથા કાર્યકર્તા જયુભા જાડેજા સહિત તમામ સાધકો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.