‘રક્તદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરવા સ્મીમેર હોસ્પિટલના સહયોગથી ધરતી ડાયમંડ કંપનીએ રક્તદાન શિબિર યોજી
‘રક્તદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરવા સ્મીમેર હોસ્પિટલના સહયોગથી ધરતી ડાયમંડ કંપનીએ રક્તદાન શિબિર યોજી
રત્નકલાકારો સાથે સેવાભાવી કર્મયોગીઓ મળીને રક્તદાન કરી ૩૫ યુનિટ રક્ત એકત્ર કર્યું
અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: કોવિડ-૧૯ની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સાથે અન્ય બિમારીથી પિડીત દર્દીઓને લોહીની જરૂરિયાત વધી રહી છે. શહેરમાં રક્તની અછતને પહોંચી વળવા અને રક્તની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એ હેતુથી સુરતની સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વરાછાની ધરતી ડાયમંડ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રત્નકલાકારભાઈઓ સહિત ૩૫ ઓફિસ સ્ટાફે સામૂહિક રક્તદાન કરી ૩૫ યુનિટ રક્ત એકત્ર કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. જેને સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું.
ધરતી ડાયમંડના માલિક ધનજીભાઈ આસોદરિયા અને રાજુભાઈ સાવલિયાએ જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન સુરતમાં વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં શહેરના તમામ ડાયમંડ યુનિટે આગળ આવીને સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખવી જોઈએ. કોરોના સામેની લડાઈની સાથોસાથ શહેરના નાગરિકો પણ વધુમાં વધુ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ના પૂણ્યકાર્યમાં સહભાગી બને તેવો અનુરોધ તેઓએ કર્યો હતો.
સ્મીમેર હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ ડો.અંકિતાબેન શાહે જણાવ્યું હતું કે, હાલની કોવિડની પરિસ્થિતિમાં લોહીની માંગને પહોંચી વળવા ઘણી સંસ્થાઓ સામે ચાલીને આગળ આવી છે અને સ્મીમેરની બ્લડ બેંકના રક્તદાનના સેવાના કાર્યમાં જોડાયા છે. જરૂરિયાતમંદ દર્દીઓમાં રક્તની ધારાને વહેતી રાખવા રત્નકલાકારોએ રક્તદાન કર્યું છે, જે સરાહનાને પાત્ર છે.