Panchayat Muhurt Palsana

પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ:

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૪ ઓક્ટોબર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા  તાલુકાના પીસાદ, કણાવ અને સેઢાવ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


 આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનના નિર્માણના કારણે લોકોને તેનો લાભ મળશે તેમજ ગામના વિકાસ કામોને વેગ મળશે. હાલ પલસાણા અને બારડોલી તાલુકામાં અનેક રસ્તાઓનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થવાથી લોકોને તેનો ફાયદો થશે. કામ શરૂ થયા બાદ યોગ્ય ગુણવત્તાયુકત બને તે અંગેની તકેદારી રાખવા સૌ ગ્રામજનોને હિમાયત કરી હતી.

મંત્રીશ્રીએ રૂ.૧૨.૬૭ લાખના ખર્ચે પિસાદ ગામના, રૂ. ૧૦.૫૪ લાખના ખર્ચે કણાવ ગામના તથા રૂ. ૧૨.૫૪ લાખના ખર્ચે સેઢાવ ગામોના નવનિર્મિત થયેલા ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો,સરપંચશ્રીઓ, ઉપસ્થિત રહ્યાં હતા.

loading…